રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ પણ વધતી મોંઘવારીથી પરેશાન છે. તેમણે ફુગાવાને “અસ્વીકાર્ય અને અસંતોષકારક” ગણાવ્યો છે. વાસ્તવમાં, રિઝર્વ બેંક દ્વારા શુક્રવારે મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકની વિગતો જાહેર કરવામાં આવી હતી. આ વિગત મુજબ, બેઠક દરમિયાન મોંઘવારી પર આરબીઆઈ ગવર્નરની ટિપ્પણી કડક હતી. બેઠકમાં એમપીસીના અન્ય સભ્યો દ્વારા સમાન મંતવ્યો વ્યક્ત કરવામાં આવ્યા હતા.
શક્તિકાંત દાસે કહ્યું હતું કે નીતિગત પગલાં નાણાકીય નીતિની વિશ્વસનીયતા મજબૂત કરશે અને ફુગાવાનો ભય ઓછો કરશે. તેમણે કહ્યું હતું કે, “મોંઘવારીની સ્થિતિ અને આર્થિક પ્રવૃત્તિઓના આધારે, અમે પરિસ્થિતિ અનુસાર યોગ્ય ખંત સાથે યોગ્ય પગલાં લઈશું.”
જયારે રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર માઈકલ દેબબ્રત પાત્રાએ જણાવ્યું હતું કે અગાઉ નાણાકીય નીતિના પગલાં લેવાથી ફુગાવાના દબાણને નિયંત્રિત કરી શકાય છે અને ફુગાવાને લક્ષ્ય સાથે સુમેળમાં રાખી શકાય છે. આ મધ્યમ ગાળામાં વૃદ્ધિમાં નુકસાનનું જોખમ પણ ઘટાડી શકે છે.
ઉલ્લેખનીય છે કે MPCની બેઠકમાં રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરીને 5.40 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. RBI છેલ્લા કેટલાક મહિનાઓથી રેપો રેટમાં સતત વધારો કરી રહી છે. રેપો રેટમાં વધારાને કારણે ગ્રાહકોની લોન અને EMI મોંઘી થઈ ગઈ છે.