ગુજરાતબોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ શિક્ષણ બોર્ડ સમક્ષ નવી સમસ્યા ઉભી થઈ હતી, વિદ્યાર્થીઓની સંખ્યામાં થયેલા ધરખમ વધારાને લીધે જો વર્ગદીઠ વિદ્યાર્થીઓની સંખ્યાના નિયમને અનુસરવામાં આવે તો વર્ગોની અછત સર્જાય તેમ હતી. એવામાં સરકારે આ મામલે સમયસર અને અતિ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરતાં શિક્ષણજગતમાં હાશકારો જોવા મળ્યો છે. ગુજરાત શિક્ષણ બોર્ડે આજે વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદાને લઈ મહત્વનો નિર્ણય લીધો છે. શાળાના વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદા વધારી 60માંથી 75 કરાઈ છે.
તદુપરાંત જો વર્ગખંડ મોટો હોય અને જગ્યા વધુ હોય તો શાળાના વડા પોતાની વિવેકબુદ્ધિ મુજબ પ્રવેશ આપી શકશે. અગાઉ કોરોનાના કારણે વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદા ઘટાડમાં આવી હતી અને માસ પ્રમોશન અપાયા છે તેથી પ્રવેશ પ્રક્રિયામાં કોઈ અવરોધ કે સમસ્યા ન સર્જાય તે માટે આ નિર્ણય લેવાયો છે.
શિક્ષણ બોર્ડ દ્વારા જણાવાયું છે કે, શૈક્ષણિક વર્ષ 2021-22 માં ધોરણ 9 અને ધોરણ 11 માટે તેમજ શૈક્ષણિક વર્ષ 2022-23 માં ધોરણ 10 અને ધોરણ 12 માટે આ સુધારો અમલી રહેશે. ત્યારબાદ શિક્ષણ વિભાગના તા.16/3/2021 ના સમાન ક્રમાંકના ઠરાવની મૂળ જોગવાઇઓનો અમલ કરવાનો રહેશે.
તેમજ આ ઠરાવનું અમલીકરણ સ્થાનિક કક્ષાએ પૂરતી સતર્કતા સાથે એ રીતે કરવાનું રહેશે કે જેથી રાજ્ય સરકાર ઉપર તેને કારણે કોઇ વધારાનું નાણાકીય,, મહેકમ વિષયક ભારણ કે કાયદાકીય જવાબદારી ઉદભવે નહીં.