મહેસાણા,
દેશ આજે ૬૯મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. આ પ્રસંગે રાજધાની દિલ્લીમાં રાજપથ ખાતે શાનદાર પરેડનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરેડમાં ભારતીય સેનાની ત્રણેય સેના થલ, જલ અને વાયુ સેનાઓની તાકાતની ઝાંખી પૂરી દુનિયા જોઈ રહી છે. ત્યારે મહેસાણા ખાતે રાજયકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહેસાણા ખાતે અલગ રંગારંગ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. શહેરના મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીએ ધ્વજ ફરાવીને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉપ- મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મહેસાણા સાંસદ જયશ્રીબેન પટેલ અને વિજાપુરના ધારાસભ્ય રમણભાઈ પટેલે રાષ્ટ્રધ્વજની સલામી લીધી હતી.
આ પ્રસંગે વિવિધ ક્ષેત્રે ઉમદા કામ કરનારા પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. ગણતંત્ર દિવસ નિમિત્તે કેસરી, સફેદ અને લીલા વસ્ત્રોમાં સજ્જ બાળકોએ સૂર્યનમસ્કાર કરીને મેદાનને તિરંગામાં રંગી નાંખ્યું હતું. સૂર્યનમસ્કારના ૧૨ સ્ટેપ કરીને વાતાવરણ ઉર્જાવાન બનાવી દીધું હતું. બાળકોના સૂર્યનમસ્કારને રાજ્યપાલ કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપસ્થિત નગરજનોએ પણ નિહાળ્યા હતા.