Ahmedabad News : કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલે(Ramdas Athawale) ના અધ્યક્ષસ્થાને અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા સ્તરના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કેન્દ્ર સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અને પ્રગતિ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં શૈક્ષણિક સહાય, સામાજિક સુરક્ષા, કાયદાની અમલવારી, આંતરજ્ઞાતિય લગ્ન યોજના, ઓલ્ડ એજ પેન્શન યોજના, આર્થિક સશક્તિકરણ, દિવ્યાંગજન માટેની વિશેષ યોજનાઓ, પ્રધાનમંત્રી આવાસ યોજના અને ઉજ્જવલા યોજના સહિતની યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

મંત્રી રામદાસ આઠવલે (Ramdas Athawale)એ અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની નવી ઊંચાઈઓ સ્પર્શી રહ્યો છે અને આજે ભારત વિશ્વની અર્થવ્યવસ્થામાં ચોથા ક્રમે પહોંચ્યું છે, જે ગૌરવની બાબત છે.
મીડિયા કર્મીઓ સાથે વાત કરતાં મંત્રી રામદાસ આઠવલે (Ramdas Athawale)એ જણાવ્યું હતું કે, ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનથી દેશમાં ઉત્પાદન વધ્યું છે, જેના કારણે રોજગારીની નવી તકો ઊભી થઈ રહી છે અને ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉદ્યોગો વિકસિત થઈ રહ્યા છે.
આ બેઠક દરમિયાન જનધન યોજના, મુદ્રા યોજના, ઉજ્જવલા યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની યોજનાઓના આંકડાકીય અમલીકરણની માહિતી પણ રજૂ કરવામાં આવી હતી.

અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજિત કુમારે મંત્રીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, જિલ્લા તંત્ર સરકારની તમામ યોજનાઓના લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે.
આ બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
