પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના રાણીપુરા ગામના વણઝારા ફળીયામાં બનતો મનરેગા યોજનાના ચેકડેમમાં ગેરરીતિ કરવામાં આવતી હોવાનું સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અધિકારીઓ સ્થળ તપાસ કરે એવી લોકોની માગ ઉઠી છે. ચેકડેમમાં જ્યાં મજબૂતી જોઈએ ત્યાં અંદર પોલાણમાં રેતી ભરેલી થેલીઓ મુકીને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે.
વધુ વિગત અનુસાર ઘોઘંબા તાલુકામાં બાંધકામના કામોમાં ભારે ભ્રષ્ટાચાર કરાઈ રહ્યો હોવાની બુમો ઉઠી છે. ત્યારે રાણીપુરા ગામે સરપંચ દ્વારા બનાવવામાં આવતા મનરેગા યોજના હેઠળનાં સીસી ચેકડેમમાં કોન્ક્રીટનાં સ્થાને ચેકડેમની મધ્યમાં રેતી ભરેલી થેલીઓ મૂકી મનરેગા યોજનાનાં કામમાં ભારે ભ્રષ્ટાચાર કરવામાં આવતા સ્થાનિક લોકોએ સરપંચની આ કામગીરી સામે વાંધો ઉઠાવતા સરપંચે ગામના કેટલાક જાગૃત લોકોને તમારાથી થાય તે કરી લો એમ જણાવી કામગીરી ચાલુ જ રાખી હતી. સરપંચ દ્વારા જ ગામના વિકાસમાં ભ્રષ્ટાચાર કરાઈ રહ્યો હોય ગામના જાગૃત નાગરિકોએ ચેક ડેમની ચાલુ કામગીરીના ફોટા લઈ આ કામ બંધ કરાવવા રજુઆત કરાઈ છે. ઘોઘંબા તાલુકામાં ચાલતા મનરેગાના અનેક કામોમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના આક્ષેપો થતા જ રહ્યા છે, છતાં કોઈ તપાસ કે વિકાસના નામે થતા કામોની ગુણવત્તા ચકાસણી કરવાની કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી ત્યારે સવાલો એવા પણ થઇ રહ્યા છે કે શું આ ભ્રષ્ટાચારમાં અધિકારી અને પદાધિકારીઓની મિલીભગત છે કે તેમની નજર હેઠળ બધુ થઇ રહ્યું છે?
રાણીપુરા ગામે બનાવવામાં આવી રહેલા સીસીના ચેકડેમમાં રેતી, કપચી, સિમેન્ટ વગેરે મટીરીયલનો રેસીયો જળવાતો ન હોય અને પાયાના બાંધકામમાં રેતી ભરેલી થેલીઓ મુકી હલકી કક્ષાનું બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાનું જાગૃત નાગરિકોના ધ્યાને આવતા આ સમગ્ર ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે. ઘોઘંબા તાલુકામાં મનરેગા સહિતના અનેક વિકાસના કામોમાં આજ રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની શક્યતાઓ સેવાઇ રહી છે. ત્યારે પાછલા વર્ષોમાં વિકાસની ગ્રાન્ટો માંથી આદિવાસી વિસ્તારના છેવાડાના ગામડાઓનો વિકાસ કરવાં નામે કરોડો રૂપિયાનો જે ખર્ચ કરવામાં આવ્યો છે તેની ઊંડી તપાસ કેમ થતી નથી એ જ સવાલો છે. ચેકડેમ, ચેકવોલના નામે ભ્રષ્ટાચાર કરવામાં આવતા વરસાદમાં આવતા પાણીમાં આવા અનેક ચેકડેમો અદ્રશ્ય બની જાય છે. જે ગુણવત્તા મુજબની કામગીરી થવી જોઈએ તે ન થતા લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલ કામો ધોવાઈ જતા લોકોમાં ભારે રોષ જોવા મળે છે. રાણીપુરા ગામેં સરપંચ દ્વારા બનાવવામાં આવતો મનરેગાનો ચેકડેમ ભારે ભ્રષ્ટાચારનો મુદ્ધો આજે સમગ્ર તાલુકામાં જ નહીં સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો હતો.
આ પણ વાંચો : ગંભીર સમસ્યા : અમદાવાદ સ્માર્ટસિટી કે ભૂવાનગરી?