Ahmedabad News: અમદાવાદના એરપોર્ટ સર્કલથી ડફનાળા સર્કલ, આશ્રમ રોડ ઉપરાંત ઇસ્કોનથી પકવાન જંકશન સુધીના રસ્તાને આઇકોનિક બનાવવામાં આવશે. 350 કરોડના ખર્ચે વીસ કિલોમીટરથી વધુની કુલ લંબાઇ ધરાવતા શહેરના સાત રસ્તાઓને આઇકોનિક બનાવવામાં આવશે.
રોડની હાલની પહોળાઈ મુજબ રોડ પર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે. શહેરના એરપોર્ટ સર્કલથી ઈન્દિરા સર્કલ સુધીના રોડને એક વર્ષ પહેલા મહાનગરપાલિકા દ્વારા આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાએ શહેરના વધુ સાત રસ્તાઓ માટે રૂ.350 કરોડના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે.
વિવિધ વિસ્તારોમાં હાલના રસ્તાઓને આઇકોનિક રોડ તરીકે વિકસાવવા માટે વિવિધ સ્થળોએ સર્વે કર્યા બાદ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હોવાનું વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે. રોડની પહોળાઈને ધ્યાને લઈ ત્રણ માર્ગીય રોડ બનાવવામાં આવશે. આઇકોનિક રોડમાં સૌથી લાંબો રોડ આશ્રમરોડ હશે અને તેની લંબાઈ પાંચ કિ.મી. હશે. તેને ગાંધી આશ્રમની થીમ પર બનાવવામાં આવશે.
પાલડી ચાર રસ્તાથી દાંડીકૂચ સર્કલ સુધીના આશ્રમ રોડની કાયાપલટ કરવામાં આવશે. હેરિટેજ થીમ, ગાંધીજીના પગલાંની છાપ વગેરે આધારિત બનાવીને ગૌરવપથ તરીકે વિકસાવવામાં આવશે. રાહદારીઓને ચાલવા માટે 2 થી 3 મીટર પહોળી ફૂટપાથ બનાવવામાં આવશે. જ્યાં રોડની પહોળાઈ વધુ હશે ત્યાં સર્વિસ રોડની જોગવાઈ કરવામાં આવશે. કનયુગથી શ્યામલ અને એસજી હાઈવેથી શ્યામલ સુધી ઓલિમ્પિક થીમ બેઝ વિકસાવવામાં આવશે.
આશ્રમ રોડ માટે બેથી ત્રણ વખત ટેન્ડર કરાયું હતું. જો કે એકપણ કોન્ટ્રાક્ટરે રસ દાખવ્યો ન હતો. આ વખતે એકસાથે સાત રોડનું રૂ. 350 કરોડનું ટેન્ડર કરાયું છે. અધિકારીનું કહેવું છે કે અગાુ સિંગલ ટેન્ડરમાં રકમ ઓછી હોવાના લીધે એજન્સીએ રસ ના દાખવ્યો હોઈ તેવું બની શકે છે. તેથી આ વખતે સાતેય રોડનું ટેન્ડર એકસાથે કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં બનશે આઇકોનિક રોડ, એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો ભવ્ય માર્ગ બનશે
આ પણ વાંચો: અમદાવાદના એલિસબ્રિજને 26 કરોડના ખર્ચે અત્યાધુનિક બનાવાશે
આ પણ વાંચો: શહેરની કાયાપલટ કરશે અમદાવાદ મ્યુનિ.નું 12,262 કરોડનું બજેટ
