શાહીન ચક્રવાત ઈરાન અને ઓમાનના દરિયાકાંઠે ત્રાટક્યા બાદ ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. ઓમાનની નેશનલ કમિટી ફોર ઇમરજન્સી મેનેજમેન્ટે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર જણાવ્યું હતું કે ઓમાનમાં વધુ સાત લોકોના મોત થયા છે. શાહીન વાવાઝોડાના આગમન બાદ દેશમાં ભારે પવન અને ભારે વરસાદ થયો હતો. રવિવારે એક બાળક સહિત ચાર લોકોના મોત થયા હતા. અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે વાવાઝોડાની અસર ઓછી થઈ છે પરંતુ હજુ પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે.
આ અંગે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓમાનમાં ભૂસ્ખલનમાં બે લોકોના મોત થયા હતા અને એક બાળક પૂરમાં તણાઈ ગયું હતું. ઓમાનની નેશનલ કમિટી ફોર ઇમરજન્સી મેનેજમેન્ટે જણાવ્યું હતું કે એક બચાવ ટીમે મસ્કત પ્રાંતના રુસેલ ઔદ્યોગિક વિસ્તારમાં ભૂસ્ખલનનો ભોગ બનેલા બે એશિયન કામદારોના મૃતદેહો બહાર કાઢ્યા હતા.
પવનની ઝડપ 139 કિમી પ્રતિ કલાક
પ્રાંતની રાજધાનીમાં પૂરના કારણે એક બાળકનું મોત થયું હતું અને એક વ્યક્તિ ગુમ હતો, અધિકારીઓએ જણાવ્યું હતું. વાવાઝોડાને કારણે ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી હતી અને શાળાઓ બંધ રાખવાના આદેશ જારી કરવામાં આવ્યા છે. સાંજે વાવાઝોડું ઉત્તરીય ઓમાન કિનારેથી પસાર થતાં પવનની ઝડપ 139 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી હતી. મસ્કતમાં વાહનોના પૈડા પાણીમાં ડૂબી ગયા હતા અને રસ્તાઓ પર સન્નાટો જોવા મળ્યો હતો.
ઈરાનમાં છ લોકોના મોત થયા છે
બીજી બાજુ ઈરાનના ચાબહાર પોર્ટ પર છ લોકોના મોત થયા છે. ડેપ્યુટી સ્પીકર અલી નિકજાદે માહિતી આપી હતી. પ્રાંતના ગવર્નર હોસીન મોદારેસ-ખિયાબનીએ IRNA ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે વીજળી અને રસ્તાઓને નુકસાન થયું છે. તેમણે કહ્યું કે આ તોફાન કિનારેથી 220 કિમી દૂર હતું. ખતરાને જોતા મસ્કત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવવા -જવાની કેટલીક ફ્લાઇટ્સ સ્થગિત કરી દેવામાં આવી છે.
સંયુક્ત આરબ અમીરાતમાં પણ તેની અસર જોવા મળી શકે છે
સિવિલ એવિએશન ઓથોરિટીએ લોકોને નીચાણવાળા વિસ્તારો અને ખીણોની મુસાફરી નહિ કરવા અપીલ કરી છે. ઓમાને રવિવાર અને સોમવારે બે દિવસની રાષ્ટ્રીય રજા જાહેર કરી છે અને હવામાનને કારણે શાળાઓ બંધ કરી છે, એમ ઓમાન ન્યૂઝ એજન્સીના અધિકારીએ જણાવ્યું હતું. તોફાન શાહીનની અસર સંયુક્ત આરબ અમીરાત પર પણ જોવા મળી શકે છે. ઇમરજન્સી ઓથોરિટીએ લોકોને દરિયાકિનારા અને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપી છે.