- પોતાની પુત્રી સુપ્રિયા સુલેને કેન્દ્રમાં પ્રધાનપદ અપાવવાનો કોઈ દાવ તો નથી ને ?
- ગુજરાતની રાતો રાત મુલાકાત લેનાર આ મરાઠા રાજકારણી સત્તાધારી પક્ષ અને વિપક્ષમાં મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે
એનસીપીના સુપ્રિમો અને દેશના એઠંગ રાજપૂરૂષો પૈકીના એક એવા એન.સી.પી.ના સુપ્રિમો શરદ પવાર અમદાવાદની મુલાકાતે આવી ગયા બાદ તેમની કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાત – મંત્રણા અંગે રાજકીય અટકળોનું જાેર વધ્યું છે. ઘણા રાજકીય વર્તુળોએ તો એવી અટકળો પણ કરી છે કે શરદ પવારે નવી સોગઠાબાજીના ભગા રૂપે પોતાની સાંસદપુત્રી સુપ્રિયા સુલે કે જેઓ લોકસભામાં પ્રશ્નો પૂછવામાં મોખરે છે તેમને મોદી પ્રધાન મંડળના સભ્ય બનાવી મહત્વનું ખાતું અપાવવા માટે તો આ સોદો હતો. ભાજપના મોવડીઓ જાે તેમની આ માગણી સ્વીકારે તો મહારાષ્ટ્રમાં ઉધ્ધવ ઠાકરેની સરકારને ઉથલાવવા માટેનો વ્યૂહ ઘડી ભાજપ – એન.સી.પી. ગઠબંધનની સરકાર રચવા માટે રણનીતિ ઘડવા શરદ પવારે આ સોગઠાબાજી ગોઠવી છે.
મહારાષ્ટ્રના આ અઠંગ રાજપુરૂષ રાજકારણના એવા ખેલાડી છે કે જે તમામ પ્રકારના સોગઠા ગોઠવી જાણે છે તેઓ કોની સાથે છે કે કોની સામે છે તે કહેવું કોઈપણ માટે અઘરૂ પડે તેમ છે ક્યારે તેઓ ક્યા હશે અને કેવા પ્રકારની રણનીતિ ઘડતા હશે તે કહેવું અઘરૂ છે શરદ પવાર ભલે દેશના વડાપ્રધાન ન બની શક્યા પણ સરકારમાં અને વિપક્ષમાં મોભો મેળવ્યો છે. મહારાષ્ટ્રમાં તો તેઓ બે – બે વખત મુખ્યમંત્રી બની ચુક્યા છે. તેમણે પોતાની કારકિર્દીમાં ઉતાર (પડતી) કરતા ચઢાવ (પ્રગતિ) વધારે જાેયા છે અને તેમના દાવપેચ સામે ભલભલાને પાણી ભરવું પડે તેવી સ્થિતિ સર્જી શકે છે.
શરદ પવાર મૂળ કોંગ્રેસી ગોત્રના છે અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વસંત દાદા પાટીલના શિષ્ય છે અને તેમના પ્રધાન મંડળમાં સભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ ૧૯૭૭માં પોતાના ગુરૂને હરાવી તેમના સ્થાને મહારાષ્ટ્રની પ્રથમ બીન કોંગ્રેસી સરકારના મુખ્યમંત્રી બન્યા હતા અને ત્યારબાદ સતત ૧૩ વર્ષ સુધી માત્ર મહારાષ્ટ્ર જ નહિ પરંતુ દેશના રાજકારણમાં વિપક્ષના ટોચના નેતાઓની હરોળમાં પોતાનું સ્થાન જમાવ્યું હતું. ૧૯૮૫ બાદ તેઓની તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીના સંપર્કમાં આવ્યા બાદ તેમણે કોંગ્રેસમાં પુનરાગમન કર્યું હતું એટલું જ નહિ પરંતુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ બન્યા હતા. ૧૯૯૧માં રાજીવ ગાંધીની ચીરવિદાય બાદ તેઓને પી.વી. નરસિંહરાવે મહત્વ તો આપ્યું જ હતું પરંતુ તે સમયગાળામાં એટલે કે ૧૯૯૯માં શ્રીમતી સોનિયા ગાંધીએ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધ્યક્ષપદ સંભાળ્યા બાદ શરદ પવાર પીએ સંગમા સહિતના નેતાઓ અલગ પડ્યા હતા અને એન.સી.પી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ નામનો નવો પક્ષ રચ્યો હતો. જાે કે તેમણે કોંગ્રેસ સાથેનું પોતાનું ગઠબંધન યથાવત રાખ્યું હતું. યુપીએના ઘટક પક્ષ પણ એન.સી.પી. હતી અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ એન.સી.પી.ની મિશ્ર સરકાર પણ ચાલતી હતી અને શરદ પવાર અને તેમના જમણા હાથ ગણાતા પ્રફુલ્લ પટેલ સાથે પ્રધાનપદુ પણ ભોગવ્યું હતું. આજની તારીખમાં પણ એન.સી.પી. અને કોંગ્રેસ સાથે જ છે.
મહારાષ્ટ્રમાં ભાજપને સત્તાથી દૂર રાખવા ઉધ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવા માટે પણ શરદ પવારે જ કીંગમેકર જેવી અસરકારક ભૂમિકા ભજવી હતી. મહારાષ્ટ્ર વિકાસ અઘાડી કે જેમાં મોટાભાઈ તરીકે શિવસેના અને નાનાભાઈ તરીકે એન.સી.પી. અને કોંગ્રેસ છે તે ગઠબંધનના રચયિતા શરદ પવાર જ છે. જાે કે આજ શરદ પવાર પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ સાથે નથી મમતા બેનરજી સાથે છે. તો કેરળમાં શરદ પવારનો પક્ષ એન.સી.પી. ડાબેરી મોરચામાં છે. અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.સી. ચાકો કે જેમણે ટિકિટ વહેંચણીના મુદ્દે વાંધો પડતા કોંગ્રેસ છોડી હતી તેઓ આજે એન.સી.પી.માં જ છે. જ્યારે ગુજરાતમાં પણ એન.સી.પી. ક્યારેક કોંગ્રેસ સાથે લડે છે તો ક્યારેક સામે પણ રહે છે. એન.સી.પી.ના એકમાત્ર ધારાસભ્ય કુતિયાણાના કાંધલ જાડેજાએ રાજ્યસભાની ૨૦૧૭ અને ૨૦૨૦ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને મત આપ્યાનું જગ જાહેર છે છતાં તેની સામે એન.સી.પી.એ કોઈ પગલા ભર્યા નથી તે પણ વાસ્તવિકતા છે.
મહારાષ્ટ્રમાં ગૃહખાતા સહિત મહત્વના ખાતા એન.સી.પી. પાસે છે. સચિન વાઝેના ખંડણી પ્રકરણ અંગે મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમવીરસિંહે જે આક્ષેપો કર્યા ત્યારબાદ ત્યાં રાજકીય સંકટ છે. વિપક્ષ મેદાનમાં છે તો મુંબઈ મહારાષ્ટ્રમાં વધેલા કોરોનાના કેસોને ડામવા માટે લોકડાઉનની વાતો રોજ થાય છે અને આઠ જિલ્લામાં તો લોકડાઉન લાગી પણ ચુક્યું છે ઉધ્ધવ ઠાકરે અને શિવસેના થોડા સમય માટે આખા મહારાષ્ટ્રમાં લોકડાઉન પક્ષમાં છે તો એન.સી.પી. આનો વિરોધ કરે છે અને ત્રીજાે ઘટક કોંગ્રેસ મૌન છે.
પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ અનીલ દેશમુખ સામેના ખંડણીના આક્ષેપોને ચગાવીને તેને કાયદો અને વ્યવસ્થાના મુદ્દા સાથે સાંકળે છે. દેશના અગ્રણી અને નંબર વન ઉદ્યોગપતિ અનિલ અંબાણીના ઘર પાસેથી વિસ્ફોટકો સાથેની કાર મળી અને તે બાબતમાં કેન્દ્ર સરકારે પણ તપાસમાં જે રીતે ઝૂકાવ્યું તે જાેતા ઉધ્ધવ ઠાકરે સરકારને ઉથલાવવા માટે ભાજપને બહાનું મળ્યું છે. દેશમુખને બચાવી લેવાની સાથે એન.સી.પી.ના સાંસદ સુપ્રિયા સુલે કે જેઓ શરદ પવારના પુત્રી છે તેમને મોદી પ્રધાન મંડળમાં સ્થાન અપાય તો મહારાષ્ટ્રમાં એન.સી.પી. ભાજપ સાથે જાેડાણ કરશે તેવી વાતો છે.
મહારાષ્ટ્રના રાજકીય સંકટ કોરોના કહેરના વાતાવરણ વચ્ચે શરદ પવાર અને પ્રફુલ્લ પટેલનું અમદાવાદમાં આગમન અને કોર્પોરેટ કંપનીના ગેસ્ટ હાઉસમાં રાત્રિ રોકાણ અને તેજ રાત્રે ગૃહમંત્રી અમિત શાહનું આગમન આ જાેગાનું જાેગ નથી પૂર્વ આયોજિત ઘટનાક્રમનો એકભાગ છે. ભલે એન.સી.પી.ના પ્રવક્તા મલિક ના પાડતા હોય કે શાહ પવાર મુલાકાત થઈ નથી. પણ મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચન્દ્રકાંત પાટીલ છડેચોક કહે છે કે મુલાકાત થઈ છે.
જ્યારે ભાજપ સમર્થક એક રાજકીય વિશ્લેષક પણ કહે છે કે સોદો લગભગ પાક્કો થઈ ગયો છે જે રીતે ગુજરાતમાં કદાવર ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાએ પોતાના પુત્ર જયેશભાઈ રાદડિયાને ૨૦૧૩માં મોદી સરકાર વખતે પ્રધાનપદ અપાવ્યું હતું જે મોદી વડાપ્રધાન બનતા ગુજરાતના મુખ્યમંત્રી બનેલા શ્રીમતી આનંદીબેન પટેલના શાસનમાં પણ ચાલુ હતું અને અત્યારે વિજયભાઈ રૂપાણીની સરકારમાં તો જયેશભાઈ કેબિનેટ કક્ષાના પ્રધાન છે. વિઠ્ઠલભાઈએ જે રીતે જયેશભાઈને ગુજરાતમાં પોતાની હયાતીમાં જ પ્રધાન બનાવવાની ઈચ્છા પૂર્ણ કરી તે જ રીતે ૮૦ વર્ષના શરદ પવાર પોતાની હયાતિમાં જ સુપ્રિયા સુલેને કેન્દ્રીય પ્રધાન બનાવવા માગે છે તેવું મોટા ભાગના રાજકીય વિશ્લેષકોનું માનવું છે. આ માટે ઉધ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદેથી હટાવવા તૈયાર થયાનું ચર્ચાય છે. શરદ પવાર હાલ બીચ કેન્ડી હોસ્પિટલમાં છે. તેમનું ઓપરેશન પણ સફળ થયું છે. હજી હોસ્પિટલમાં તેમને રોકાવું પડશે તેઓ હાલ મૌન છે અને બધાને મળવાનું પણ ટાળતા હોવાનું કહેવાય છે તો બીજી બાજુ ગૃહમંત્રી અમિત શાહ એમ કહે છે કે બધી વાતો જાહેર કરવાની ન હોય આનો અર્થ શું સમજવો ? જે કાંઈ હશે તે માટે પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ બાદ બહાર આવવાનું જ છે.