શરદ પૂનમ આ દિવસ વિષે ગુજરાતના કવિઓએ પેટ ભરીને સાહિત્યની રચના કરી છે. આ દિવસે સૌ કોઈ રાહ જુએ છે. આ દિવસે ચંદ્ર 16 કળાએ ખીલીને ધરતી પર અમૃત વરસાવે છે. વર્ષા ઋતુની વિદાય અને શરદ ઋતુના બાળસ્વરૂપનુ આ સુંદર દ્રશ્ય દરેકનું મન મોહી લે છે.
એટલે જ કવી લખે છે..
‘શરદ પૂનમની પ્યારી પ્યારી રાત, મારી પ્રીતમ સાથે છે મુલાકાત, આજ તું ના જાતી…’
‘શરદ પૂનમની રાતડી ચાંદની ખીલી છે ઘણી ભાતની
તું ન આવે તો શ્યામ રાસ જામે ન શ્યામ
રાસે રમવાને વ્હેલો આવજે’
પ્રાચીનકાળથી શરદ પૂનમને ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. શરદ પૂનમથી હેમંત ઋતુની શરૂઆત થાય છે. આ રાતનો ચંદ્રમાં પોતાની સમસ્ત કળાઓની સાથે હોય છે અને ધરતી પર અમૃત વરસાવે છે. રાત્રે 12 વાગે થનારી આ અમૃત વર્ષાનો લાભ માનવને મળે એ જ ઉદ્દેશ્યથી ચંદ્રોદ્દયના સમયે ચાંદના પ્રકાશ નીચે ખીર કે દૂધ મુકવામાં આવે છે, જેનુ સેવન રાત્રે 12 વાગ્યા પછી કરવામાં આવે છે.
એવુ કહેવાય છે કે ચંદ્રની અમૃતવર્ષા નીચે મુકેલી આ ખીરથી રોગી રોગમુક્ત પણ થાય છે. આ ઉપરાંત ખીર દેવતાઓનું પ્રિય ભોજન પણ છે.
શરદ પૂનમને કાજુરી પુનમ પણ કહેવામાં આવે છે. પૂનમ ભલે ગમે ત્યારે શરૂ થતી હોય પણ પૂજા બપોરે 12 વાગ્યા પછી જ શુભ મુહુર્તમાં થાય છે. પૂજામાં લક્ષ્મીજીની મૂર્તિ ઉપરાંત કળશ, ધૂપ, દુર્વા, કમળનું ફૂલ, ધનસંપત્તિ, નાનૂ સૂંપડુ, અનાજ, સિંદૂર અને નારિયળના લાડુનું વિશેષરૂપે ચઢાવાય છે.
આપ કદાચ જાણતા હશો કે જે રીતે ભારતીય સંસ્કૃતિમાં સૂર્યનું વિશેષ મહત્વ છે એ જ રીતે ગ્રીક અને રોમનમાં પૂનમનાં ચંદ્રનુ વિશેષ મહત્વ છે.