Sidhpur Lawyer Attack News: પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ઘટના સામે આવી છે. પૈસાના જૂના હિસાબની અદાવતમાં એક વકીલ પર લોખંડના છરા વડે હિંસક હુમલો કરવામાં આવ્યો છે. રાત્રિના સમયે ઘરે જઈ રહેલા વકીલને અધવચ્ચે રોકીને હુમલો કરાતા ચકચાર મચી ગઈ છે. ઘાયલ વકીલને ગંભીર ઈજાઓ પહોંચતા સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Sidhpur : મોડી રાત્રે રસ્તો રોકીને કર્યો હુમલો
ઘટનાની વિગત મુજબ, સિદ્ધપુરની હરસિદ્ધ નગર સોસાયટીમાં રહેતા વકીલ ગત રાત્રે (2 મે) આશરે 1:15 વાગ્યે શંકરપુરાથી પોતાના ઘરે એક્ટિવા પર જઈ રહ્યા હતા. આ દરમિયાન મંગલદીપ સોસાયટી પાસે સુરેશભાઈ શ્રીમાળી નામના શખ્સે તેમનો રસ્તો રોક્યો હતો. સુરેશભાઈએ જૂના મજીયારાના પૈસાના હિસાબ બાબતે વકીલ સાથે તકરાર શરૂ કરી હતી અને ગાળાગાળી કરવા લાગ્યો હતો.
માથામાં છરાના ઘા ઝીંક્યા
ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે સુરેશભાઈએ ઉશ્કેરાઈને પોતાની પાસે રહેલા લોખંડના છરા વડે વકીલ પર હુમલો કરી દીધો હતો. હુમલાખોરે વકીલના માથાના ભાગે જીવલેણ ઘા ઝીંક્યા હતા. વકીલે પોતાનો બચાવ કરવા હાથ આડો ધરતા તેમને જમણા હાથના અંગૂઠા અને ડાબા હાથની આંગળીઓમાં પણ ઈજાઓ થઈ હતી. વકીલની બૂમાબૂમ સાંભળી આસપાસના લોકો દોડી આવતા હુમલાખોર ત્યાંથી નાસી છૂટ્યો હતો.
હોસ્પિટલમાં 17 ટાંકા આવ્યા
લોહીલુહાણ હાલતમાં વકીલને તાત્કાલિક સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમના માથાના ભાગે ગંભીર ઈજા હોવાથી 17 જેટલા ટાંકા લેવા પડ્યા છે. હુમલાખોર સુરેશ જતી વખતે વકીલને ધમકી આપતો ગયો હતો કે, “આજે તો બચી ગયો છે પણ હવે પછી જાનથી મારી નાખીશ.”
પોલીસ તપાસ તેજ
આ હિંસક હુમલા અંગે સિદ્ધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્રવીણકુમાર ખાનાભાઈ પરમારે આ મામલે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વકીલ પર થયેલા આ હુમલાને પગલે સ્થાનિક કાયદાકીય આલમમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.
