કોરોનાના કારણે ગત વર્ષે ઈતિહાસમાં પ્રથમ વખત કોરોનાની મહામારીને કારણે ઐતિહાસિક એવી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા પહેલીવાર મંદિરની બહારની જગ્યાએ મંદિર પરિસરમાં જ ફરી હતી. કોરોનાના કારણે રથયાત્રા છેલ્લે સુધી કાઢવા મામલે સરકાર અને મંદિર વચ્ચે વાતચીત થઈ હતી. હાઇકોર્ટમાં પણ આ મામલે સુનાવણી યોજાઈ હતી.બાદમાં છેવટે ભગવાન જગન્નાથજીના રથયાત્રા મંદિર પરિસરમાં જ કાઢવાનો નિર્ણય લેવાયો હતો. ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભક્તોમાં રથયાત્રાને લઈને ઘણી ઉત્સુકતા જોવા મળી રહી છે.તેની સાથે જ ભગવાન જગન્નાથના દર્શન માટે ભક્તો માં તાલાવેલી જોવા મળી રહી છે ત્યારે આ વર્ષે ભગવાનના પૂજા તથા વિધિ શક્ય બનશે કે કેમ ? તે અંગે લોકોમાં પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરના ટ્રસ્ટી એ આ અંગે મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી છે.
આવતીકાલે શુક્રવારે ત્રણેય રથનું પરંપરાગત પૂજન
આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પહેલાં આવતીકાલે શુક્રવારે ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવશે. મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા અને અન્ય ટ્રસ્ટીઓની હાજરીમાં આ રથનું પૂજન કરવામાં આવશે. રથપૂજનમાં કોઈ મહાનુભાવોને આમંત્રણ આપવામાં નથી આવ્યું અને ભક્તો વગર જ માત્ર ગણતરીની સંખ્યામાં લોકોની હાજરીમાં પૂજાવિધિ સંપન્ન કરવામાં આવશે.
24મી જૂને પણ જળયાત્રા મામલે હજી નિર્ણય લેવાયો નથી
24મી જૂને પણ જળયાત્રા કઈ રીતે કાઢવી એ મામલે હજી નિર્ણય લેવાયો નથી. કોરોનાની મહામારીના કારણે ગત વર્ષે રથયાત્રા મંદિર પરિસરમાં જ નીકળી હતી ત્યારે આ વર્ષે પણ જગન્નાથજીની રથયાત્રા નીકળશે કે કેમ એ અંગે ભક્તોમાં અસમંજસ છે.
સંતો-ટ્રસ્ટીઓની પાંખી હાજરીમાં થશે પૂજન
જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ જણાવ્યું હતું કે આવતીકાલે મહંત દિલીપદાસજી અને અન્ય ટ્રસ્ટીઓની હાજરીમાં જ રથનું પૂજન કરવામાં આવશે. અન્ય કોઈ વ્યક્તિઓની હાજરી રહેશે નહીં. 24મી જૂનના રોજ જળયાત્રા યોજવા અંગે હજી નિર્ણય લીધો નથી. જૂન મહિનામાં કેવી પરિસ્થિતિ છે એને જોઈને નિર્ણય લેવામાં આવશે. શુક્રવારે સવારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથનું પૂજન કરવામાં આવશે.
ગત વર્ષે ભગવાન જગન્નાથજીએ નગરચર્યાએ જવાને બદલે મંદિરમાં જ પરિક્રમા કરી
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્ની અંજલિ રૂપાણી સાથે મંદિર પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથનો રથ ખેંચી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યાર બાદ પોલીસે રથને કોર્ડન કરી લીધો હતો.ભગવાન જગન્નાથજીના રથને પહિંદવિધિ કરીને મંદિરના ગેટ સુધી જ લઈ જવાયો હતો. ત્યાર બાદ ત્રણેય રથને મંદિરમાં જ ફેરવવામાં આવ્યા હતા અને ભક્તોનાં દર્શન માટે મૂકવામાં આવ્યા હતા.મહામારી કોરોનાને કારણે ગત વર્ષે ભગવાન જગન્નાથજીએ નગરચર્યાએ જવાને બદલે મંદિરમાં જ પરિક્રમા કરી હતી. બપોર બાદ મંદિરમાં ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી.