Morbi: ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગકારોને કેવી સુરક્ષા પૂરી પાડવામાં આવે છે અને તેમના ફસાયેલા નાણા પરત લાવવા માટે પોલીસ કેવી જહેમત ઉઠાવે છે તેનું ઉદાહરણ મોરબી પોલીસે રજૂ કર્યુ છે. મોરબી પોલીસે 2023-24ના વર્ષમાં મોરબી સીરામિક તથા અન્ય ઉદ્યોગોના વેપારીઓના ફસાયેલા રૂ. 19 કરોડથી વધુ રકમ પરત કરવાની ઉદાહરણરૂપ કામગીરી કરી છે. હજી પણ આ કામગીરી જારી જ છે.
વેપારીઓને તાત્કાલીક પોલિસ મદદ મળી રહે અને વેપારીઓના રૂપિયા પરત મળતા થાય તેમજ તેમની ફરિયાદ અને રજુઆતો બાબતે ઝડપી કાર્યવાહી થાય તે માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) ના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પોલીસ વડાના સ્થાને SITની રચના તા.19મી મે-2023ના રોજ કરી હતી.

SITની રચના બાદ વેપારીઓ-ઉદ્યોગપતિઓના ફસાયેલા નાણા બાબતે અલગ અલગ રાજ્યના કુલ 408 એકમો વિરુધ્ધ 103 અરજીઓ SITને મળી હતી, તેને લઈને તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી અને સિરામિક ઉદ્યોગ સહિતના ઉદ્યોગોના વિવિધ નાણાકીય વ્યવહારોમાં ફસાયેલા રૂ.19 કરોડથી વધુ નાણા પરત કરાવી SITએ વેપારીઓનો વિશ્વાસ જીત્યો છે.

SITની રચનાથી વેપારીઓને મળેલી સલામતીને પરિણામે મોરબીના વિવિધ ઉદ્યોગ એસોસિયેશનના પ્રતિનિધિશ્રીઓ તેમજ વેપારીઓ દ્વારા સૌ વેપારીઓ-ઉદ્યોગપતિઓ વતી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ રાજકોટ રેન્જ ડી.આઇ.જી તેમજ મોરબી એસ.પીનું અભિવાદન-સન્માન કરવામાં આવ્યું હતું.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વેપારીઓને વિશ્વાસ અપાવતા જણાવ્યું હતું કે હજુ જે વેપારીઓના પૈસા ફસાયેલા છે અને અરજીઓ SIT પાસે પડતર છે, તેના નિરાકરણ માટે આગામી સમયમાં એક મહિનાની મેગા ડ્રાઇવ ચલાવવામાં આવશે. એક્સ્ટ્રા ફોર્સ સાથે ટીમોને અલગ-અલગ રાજ્યોમાં તપાસ માટે મોકલી વેપારીઓના ફસાયેલા નાણાં પરત કરાવવામાં આવશે. SITની ટીમ કેરલ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ સહિતના વિવિધ રાજ્યોમાં આ તપાસ માટે પહોંચી ચુકી છે, જેને પરિણામે હવે ચીટર ટોળકીઓમાં ડરની ભાવના છે અને ગુજરાતના વેપારીઓના ફસાયેલા રૂપિયા પરત આવવા લાગ્યા છે.
આ પ્રસંગે ધારાસભ્ય દુર્લભજી દેઘરીયા, પ્રકાશભાઈ વરમોરા, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, રાજકોટ રેન્જ ડીઆઈજી અશોક કુમાર, મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી તેમજ વિવિધ ઉદ્યોગ એસોસિયેશનના પ્રતિનિધિશ્રીઓ તેમજ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: ટ્રાફિક નિયમ ભંગ સામે રાજ્યમાં 365 દિવસ ચલાવો પોલીસ ડ્રાઈવ: હર્ષ સંઘવી
આ પણ વાંચો: ગેરકાયદે બાંધકામ પર ભૂપેન્દ્રભાઈનું બુલડોઝર જરૂરથી ચાલશે : હર્ષ સંઘવી
આ પણ વાંચો: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો કડક આદેશ, ગુનેગારોને સાચવતા પોલીસકર્મીઓ દંડાશે
