ગુજરાત વેડિંગ ડેસ્ટીનેશનન સ્પોટ બનતું જાય છે. ગત વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના ટેન્ટ સીટી 1માં પણ વેડિંગ ડેસ્ટીનેશન શરૂ કરવામાં આવ્યુ હતુ. હવે ધાર્મિક સ્થળ સોમનાથમાં પણ વેડિંગ ડેસ્ટીનેશન કરવામાં આવશે. દેશ-વિદેશના લોકો સોમનાથમાં માત્ર 11 હજાર ભરીને લગ્ન કરી શકશે.
ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેઝ વધ્યો છે
સમાજમાં ડેસ્ટીનેશન વેડિંગનો ક્રેઝ વધી રહ્યો છે. જેમાં લોકો ધાર્મિક સ્થળો પર લગ્ન કરવાની ઇચ્છા ધરાવતાં હોય છે. તેને ધ્યાનમાં લઇને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ડેસ્ટીનેશન વેડિંગ માટેનો નિર્ણય લીધો છે. હવે યુગલો બમ બમ ભોલેનાથના સાનિધ્યમાં લગ્ન કરી શકશે.
કોઇ પણ વ્યક્તિ લગ્નપ્રસંગ કરી શકશે
સોમનાથ ટ્રસ્ટના જીએમ વિજ્યસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે સોમનાથના સાનિધ્યમાં કેન્દ્ર સરકારની યોજના હેઠળ લગ્નમંડપ હોલ સાથે ટુરિસ્ટ ફેસીલિટી કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. જેમાં કોઇપણ વ્યક્તિ લગ્નપ્રસંગ કરી શકે તેવું આયોજન ટ્રસ્ટ દ્વારા કરાયું છે. લગ્ન માટે 11 હજાર ભરવાથી ટ્રસ્ટ દ્વારા વેદોકત પુરાણોકત રીતે લગ્નવિધિ કરાવી આપવામાં આવશે.
લગ્ન માટે સમગ્ર સામગ્રી પુર્ણ કરવામાં આવશે
સોમનાથ ટ્રસ્ટ તરફથી લગ્ન માટે સુશોભિત આધુનિક લગ્ન હોલ, ચોળી, મહારાજની વ્યવસ્થા, લગ્નવિધિની સામગ્રી, ફોટોગ્રાફસ અને સીડી, સંસ્થાનું પ્રમાણપત્ર, સોમનાથ ભગવાનનો પ્રસાદ, વર-કન્યા માટે ફુલહાર, 250 ગ્રામ મીઠાઇ, અને ખેસની સુવિધા આપવામાં આવશે. મહત્વની બાબત એ છે કે નગરપાલિકાનું લગ્ન પ્રમાણપત્ર પણ પુરૂ પાડવામાં આવશે.