સિડની,
ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે રમાનારી વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમના સ્ટાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજને ટીમમાં શામેલ કરવામાં આવ્યો છે.
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા જણાવ્યા મુજબ, “ટીમના બોલરો પર વર્ક લોડને ધ્યાનમાં રાખીને બુમરાહને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે અને તેની જગ્યાએ મોહમ્મદ સિરાજનો ટીમમાં સમાવેશ કરાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જસપ્રીત બુમરાહ છેલ્લા કેટલાક સમયથી પોતાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં ચાલી રહ્યો છે. બુમરાહે હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામે સમાપ્ત થયેલી ૪ ટેસ્ટ મેચની શ્રેણીમાં કુલ ૨૧ વિકેટ પોતાના નામે કરી છે અને ટીમના ઐતિહાસિક શ્રેણી વિજયમાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે.
આ પહેલા કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ બાદ ટીમના ઝડપી બોલરના કાર્યભારને વહેચવા અંગે કહ્યું હતું.
ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ ત્રણ વન-ડે મેચની શ્રેણીની પહેલી મેચ આ શનિવારે રમાશે, જયારે ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ ૨૩ જાન્યુઆરીના રોજથી શરુ થશે.