@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
કોરોનાની બીજી લહેરમાં દેશ તેમજ ગુજરાતમાં કેસની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. ત્યારે જે વિસ્તારમાં વધુ કેસ આવે ત્યાં લોકડાઉન આપવામાં આવતું હતું. જેની સાથે ઘણી જગ્યાએ વેપારીઓ અને વહીવટી તંત્ર દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન આપવામાં આવતું હતું.
ગુજરાત: કોવિડ પોઝિટિવ થયેલા પાટડીનાં શિક્ષક નિવૃત્તિ બાદ પણ શાળામાં વૃક્ષો ઉછેરવા નિયમીત આવે છે
ધ્રાંગધ્રામાં પણ કોરોનાનાં કેસમાં વધારો થયો હતો. તે સમયે શહેરનાં વિવિધ વેપારીઓનાં સંગઠનો સાથે વહીવટી તંત્રની મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં સપ્તાહમાં ચાર દિવસ સવારથી બપોર સુધી વેપારીઓને વેપાર કરવાની છૂટ આપવામાં આવી હતી અને સપ્તાહનાં ત્રણ દિવસ શહેર સંપૂર્ણ બંધ રાખવામાં આવે તે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય 31 મે સુધી અમલી હતો. હાલની સ્થિતિમાં કેસમાં ઘટાડો જોવા મળતા હવે આજથી વેપારીઓ રાબેતા મુજબ પોતાના ધંધા કરી શકે તે માટેની છૂટ આપવામાં આવી છે પણ સરકારી ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે તે પણ જરૂરી છે. ત્યારે આજથી શહેરનાં વેપારીઓ પોતાના ધંધા શરૂ કરી રહ્યા છે અને સરકારી ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સ રાખી અને માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરીને વેપારીઓ વેપાર કરી રહ્યા છે. આજથી પૂરો દિવસ વેપાર કરવાની છૂટ આપવામાં આવતા શહેરનાં બજારમાં લોકો ખરીદી કરવા આવતા થયા હતા, ત્યારે વેપારીઓ પણ પોતાના વેપાર કરી રહ્યા છે અને કોરોનાની સ્થિતિમાં પોતાની સ્થિતિને મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.