કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાની મુસીબતોમાં વધારો થઇ શકે છે. અમદાવાદ જિલ્લા કો-ઓપરેટીવ (એડીસી) બેન્કના ચેરમેન અજય પટેલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી પ્રવક્તા સુરજેવાલા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. સુરજેવાલા વિરુદ્ધ એડીસી બેન્કની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના આરોપમાં અપરાધિક માનહાનિનો મામલો દાખલ કર્યો છે.
ફરિયાદકર્તા અજય પટેલે કોર્ટમાં સિડી અને ટ્રાન્સક્રિપ્ટ પણ પેશ કરી છે. પટેલે અદાલતમાં કહ્યું કે બંને કોંગ્રેસી નેતાઓ તરફથી આપવામાં આવેલા નિવેદનો ખોટા હતા, કારણ કે બેંકે આટલી મોટી રકમ બદલી જ નથી.
ફરિયાદ બાદ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે સીઆરપીસી કલમ 202 હેઠળ આ મામલે અદાલતી તપાસનો આદેશ આપ્યો છે. આ મામલાની આગળની સુનાવણી હવે 17 સપ્ટેમ્બરે થશે.
હકીકતમાં કોંગ્રેસ પ્રવક્તા સુરજેવાલાએ નોટબંધી દરમિયાન નિવેદન આપ્યું હતું કે એડીસી બેંકે પાંચ દિવસમાં 745 કરોડ રૂપિયાની રોકડ બદલી હતી. સુરજેવાલાએ એવો દાવો પણ કર્યો હતો કે એડીસી બેન્કના ચેરમેન અજય પટેલ ભાજપ અધ્યક્ષ અમિત શાહની ખુબ નજીક છે.
જે દિવસે સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ કરીને બેન્ક પર આરોપ લગાવ્યો હતો, એ દિવસે રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને અમિત શાહ પર હુમલો કર્યો હતો. રાહુલ ગાંધીએ લખ્યું હતું કે અમદાવાદ જિલ્લા સહકારી બેન્કના નિદેશક, અમિત શાહજીને અભિનંદન. આપની બેંકે જૂની નોટો બદલીને નવી કરવામાં બાજી મારી લીધી છે. પાંચ દિવસમાં 750 કરોડની રોકડ બદલવામાં આવી છે.
જણાવી દઈએ કે રાહુલ ગાંધીની ટ્વિટ બાદ બંને પાર્ટી તરફથી આક્ષેપ પ્રતિઆક્ષેપ શરુ થઇ ગયા હતા.