અમદાવાદના રામોલમાં હાર્દિક પટેલ દ્વારા કોર્પોરેટરના ઘરમાં તોડફોડ કરવાનાં મામલે જામીન રદ્દ કરવાની અરજી પર કોર્ટ આગામી 24 ઓગસ્ટે ચૂકાદો આપશે. રાજય સરકાર તરફથી હાર્દિકના જામીન રદ્દ કરવા અરજી કરાઇ છે. હાર્દિક કોર્ટની શરતોનું પાલન ન કરતો હોવાની રાજય સરકાર તરફથી રજૂઆત કરાઇ છે.
હાર્દિકના રામોલમાં પ્રવેશને લઇને પણ સરકારી વકીલ તરફથી વાંધો ઉઠાવામાં આવ્યો હતો. વકીલ તરફથી દલીલ કરાઇ હતી કે રામોલમાં હાર્દિકના કોઈ સગાસબંધી પણ રહેતા નથી. હાર્દિકના જામીન રદ્દ કરવા માટે ત્રણ અલગ અલગ પોલીસ અધિકારીઓએ ગુપ્ત રિપોર્ટ કોર્ટમાં રજૂ પણ કર્યો છે.
હાર્દિકને રામોલમાં ન પ્રવેશવાની શરતે કોર્ટે જામીન આપ્યા હતા. જામીન તેમ છતાં રામોલમાં પ્રવેશ કર્યો હોવાની સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી. હાર્દિકના જામીન રદ્દ અને રામોલમાં પ્રવેશની અરજી પર સેશન્સ કોર્ટ આગામી 24 ઓગસ્ટે સૂનાવણી હાથ ધરાશે.
જણાવી દઈએ કે હાર્દિક પટેલ તારીખ 25 ઓગસ્ટથી રાજ્ય સરકાર વિરુદ્ધ ઉપવાસ આંદોલન ચાલુ કરવાનું આયોજન કરેલું હતું. પરંતુ હાલ સુધી ઉપવાસ માટેનું સ્થળ મળી શક્યું નથી.
અમદાવાદમાં ઉપવાસ આંદોલન માટે નિકોલનું ગ્રાઉન્ડ નહીં મળતા, હાર્દિક પટેલ મ્યુ કમિશ્નર અને પોલીસ કમિશ્નરને રજુઆત કરશે. પાસ દ્વારા અન્ય ત્રણ ગ્રાઉન્ડ ની પણ માગ કરવામાં આવી છે.
હાર્દિકે અમદાવાદના નિકોલમાં ઉપવાસ માટે માંગેલું મેદાન પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. પાસ કન્વીનરે કહ્યું કે, ઉપવાસ કાર્યક્રમ બંધ રાખવા માટે ભાજપ સરકાર તમામ તાકાત લગાવી રહી છે, તમામ પ્રકારના તરકટ રચી રહી છે. પાસ ટીમનું કહેવું છે કે, ઉપવાસ માટે 50થી વધુ દિવસ પહેલાં કોર્પોરેશનના પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી, હવે આ મેદાનને રાતોરાત પાર્કિંગ ઝોન જાહેર કર્યો એટલે અમે સહકારની ભાવનાથી નિકોલમાં આવેલા બીજા પ્લોટમાં કાર્યક્રમ કરવા માટે તૈયારી દર્શાવી છે.