નાફેડ ના નિયમો અને માનમાનીના કારણે સીંગદાણા ઉત્પાદકો તેમજ સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોશિએશન (સોમા) કંટાળી ગયું છે. નાફેડમાં મગફળી ખરીદવાની લેખિત રજુઆત કરી હોવા છતાં પણ નાફેડ માંથી મગફળી ખરીદવામાં ખુબ મુશ્કેલી પડી રહી છે. સોમાના પ્રમુખ સમીર શાહે જણાવ્યું કે નાફેડ માંથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો અમે બહિષ્કાર કરીએ છીએ. આ નિર્ણયથી આગામી દિવસોમાં મગફળીની અછત સર્જાશે અને લાંબા ગળે તેલના ભાવમાં વધારો જોવા મળશે. સોમાની મંગણીઓનું જ્યાં સુધી યોગ્ય રીતે નિરાકરણ લાવવામાં નહિ આવે ત્યાં સુધી બહિષ્કાર યથાવત રહેશે.
સોમા ના પ્રમુખે વધુમાં જણાવ્યું કે હાલમાં જ નાફેડના અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રશ્નો રજુ કર્યા હતા. અને કોઈ મુશ્કેલી નહિ રહે તેવી ખાતરી નાફેડ દ્વારા આપવામાં આવી હોવા છતાં પણ ટેકાના ભાવે ખરીદી કરીએ ત્યારે માલ સમયસર પહોંચતો નથી અને બિલ પણ સમયસર મળતા નથી. નાફેડ માનમાનીપૂર્ણ નિયમો મુજબ વેચાણ કરી રહયા છે. જે કારણે સીંગદાણા ઉત્પાદકો અને સોમાને ખુબ તકલીફ પડી રહી છે.
સોમા ના બહિષ્કારથી હરકતમાં આવતા, નાફેડે કંટ્રોલ રૂમ શરુ કર્યા છે. જેમાં વેપારીઓ અને સોમા ને મગફળીની ખરીદી સમયે પડતી મુશ્કેલીઓને દૂર કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવાની જાણકારી મળે છે.
જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનાઓથી નાફેડના ગોડાઉનમાં રહેલી મગફળીનું કરોડોનું કૌભાંડ બહાર આવ્યું હતું. જેમાં મગફળીની બોરીઓ માંથી ધૂળના ઢેફાં નીકળ્યા હતા. અને મુખ્ય સૂત્રધાર મગન ઝાલાવાડિયાની ધરપકડ કરવામાં આવી હતી.