ભારતના બંધારણમાં અમૂક સત્તાઓ કેન્દ્રની છે તો બાકીની બધી સત્તાઓ રાજ્ય પાસે છે. રાજ્યને ફેડરેશન એટલે કે પ્રજાસત્તાક માળખાના અંગ સમાન ગણવામાં આવ્યા છે. કેન્દ્ર જ્યારે રાજ્યના કાર્યક્ષેત્રવાળા માળખામાં હસ્તક્ષેપ કરે ત્યારે તેની સામે અવાજ ઉઠે છે. જાે કે રાજ્યોના મુખ્યમંત્રીઓની ચૂંટણી કે વરણી ભલે જે તે રાજ્યોના ધારાસભ્યો કરતાં હોય પરંતુ આ મુખ્યમંત્રીના નામ અને વિદાય તો એક યા બીજા પક્ષ એટલે કે કોંગ્રેસ હોય કે ભાજપ તેના કેન્દ્રીય નેતાઓ જ નક્કી કરતં હોય છે અને તેથી જ તો રાજ્યોના મુખ્યમંત્રી કેન્દ્રીય નેતાની કહ્યાગરી પત્ની જેવા હોવાની ટકોર અવારનવાર પ્રચાર માધ્યમોમાં થતી રહે છે. ખાસ કરીને રાષ્ટ્રીય કક્ષાના પક્ષોને આ નિયમ વધુ પ્રમાણમાં લાગુ પડે છે. તાજેતરમાં ભાજપશાસિત ચાર રાજ્યોમાં મુખ્યમંત્રીઓ બદલાયા અને નવા મુખ્યમંત્રીઓ તરીકે આશ્ચર્યજનક નામો આવી પડ્યા તેનું પણ આજ કારણ છે. ગુજરાતમાં નવા પ્રધાનમંડળની રચનામાં અપનાવાયેલી ‘નો રિપિટ’ થીયરી સામે કચવાટ છે પણ કોઈ કશું બોલી શકતું નથી. મનમાં સમસમીને બેસી રહે છે. પંજાબમાં ભલે કેપ્ટન સામે કોંગ્રેસના ધારાસભ્યોમાં વિરોધ હતો એટલે જવું પડ્યું પણ તેના અનુગામીની પસંદગીમાં તો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનું ધાર્યુ કામ થયું છે આ એક વાસ્તવિકતા છે.
દેશના છ રાજ્યોમાં કોંગ્રેસની ભાગીદારીવાળી સરકારો છે જ્યારે પાંચ રાજ્યોમાં ભાજપના ટેકેદાર પક્ષોની કે ભાગીદારીવાળી સરકાર છે. જ્યારે બીજા કેટલાક રાજ્યો એવા પણ છે જે ભાજપના પણ ટેકેદાર નથી અને કોંગ્રેસના પણ ટેકેદાર નથી. આ બધી પ્રાદેશિક પક્ષોની સરકાર છે. ઓરિસ્સામાં બીજેડી છેલ્લા પાંચ ટર્મથી જીતે છે. જાે કે તેનું વલણ ક્યારેક કેન્દ્રને ટેકો અને ક્યારેક વિરોધનું હોય છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં ત્રીજીવાર સત્તાના સૂત્રો સંભાળનાર ટીએમસીના મોભી શ્રીમતી મમતા બેનરજી અવારનવાર કેન્દ્ર સામે અવાજ ઉઠાવતા રહે છે. જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ પણ સતત ત્રીજીવાર મુખ્યમંત્રી બન્યા છે. પહેલી વખત ૨૦૧૩માં કોંગ્રેસના ટેકાથી ટૂંકાગાળા માટે સરકાર ચલાવી હતી. બે ટર્મથી ભારે બહુમતીથી સરકાર ચલાવે છે. જ્યારે ઉત્તરપ્રદેશમાં ભાજપની તોતીંગ બહુમતી છે અને ૨૦૧૭ની ચૂંટણી વખતે છેલ્લી ઘડીએ સાંસદમાંથી મુખ્યમંત્રી બનેલા ગોરખપુરના એક મઠના મહંત યોગી આદિત્યનાથ મજબૂત હિંદુ ચહેરો છે.
આજે આ ત્રણ મુખ્યમંત્રીઓની વાત કરવી છે. ઉત્તરપ્રદેશમાં ૨૦૧૭ના માર્ચ-એપ્રિલમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન ભાજપને તોતીંગ બહુમતી મળી. સપા મુખ્ય વિરોધ પક્ષ બન્યો. બસપા ત્રીજા નંબરનો પક્ષ બન્યો અને કોંગ્રેસ માત્ર સાત ધારાસભ્યો સાથે તળિયે ધકેલાઈ ગઈ તે વખતે યુપીના મુખ્યમંત્રી બનવા લાંબી કતાર હતી. તેમાંથી મોદી-શાહની જાેડીએ યોગી આદિત્યનાથની પસંદગી કરી. બીજા બે નેતાઓ મૌર્ય અને શર્માને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા. ભાજપશાસિત રાજ્યોમાં યોગી આદિત્યનાથ એવા મુખ્યમંત્રી પૂરવાર થયા છે કે જે સતત વિવાદોમાં ઘેરાયેલા રહેતા હોવા છતાં પોતાનું કદ વધારી રહ્યા છે. છ માસ પહેલા તો યોગીની વિદાય નિશ્ચિત મનાતી હતી પરંતુ તેઓ ટકી ગયા છે. હવે તો તેઓ ઘણી બાબતમાં પોતાની રીતે નિર્ણય લેતા થઈ ગયા છે. મોદીના માનીતા આઈ.એ.એસ. અધિકારી સેવાનિવૃત્તિ બાદ ભાજપમાં આવ્યા ત્યારે મોદીની એવી ઈચ્છા હતી કે તે યોગીના સ્થાને મુખ્યમંત્રી તરીકે ગોઠવાય પણ યોગીએ ફાવવા ન દીધા. એટલું જ નહિ પણ પ્રધાનમંડળમાં પણ ન લીધા. એટલું જ નહિ પરંતુ તેમણે જાણે શર્મા પર ઉપકાર કરતાં હોય તેમ ઉત્તરપ્રદેશ કોંગ્રેસના ૧૭મા ઉપાધ્યક્ષ બનાવી સંગઠનમાં ગોઠવી રાજકીય ભાષામાં કહીએ તો કદ પ્રમાણે વેતરી નાખ્યા. દેશના અન્ય મુખ્યમંત્રીઓ કરતાં માર્કેટીંગ કરવામાં પણ યોગી ઘણા આગળ છે. તેમણે થોડા સમય પહેલા યુપીની વિકાસગાથા ગાતા હોર્ડિંગ લગાવ્યા હતાં તેમાં મોદી, શાહ કે નડ્ડાનો નહિ પરંતુ યોગી અને પ્રદેશ ભાજપ પ્રમુખનો ફોટો હતો. યુપીમાં તો ઠીક પણ દિલ્હીના સરહદી વિસ્તારમાં પણ યોગીએ માત્ર પોતાના અને પોતાના પ્રધાન અને પ્રદેશ પ્રમુખના ફોટાવાળું પોસ્ટર લગાવ્યું છે. મોદી-શાહના કહેવા છતાં તેમણે પ્રધાનમંડળનું વિસ્તરણ કર્યું નથી. તેથી ‘નઈ રોશની’ સહિતના યુપીના અખબારોએ એવું નોંધ્યું છે કે યોગી પોતાની રીતે નિર્ણયો લઈ કદ એવી રીતે વધારી રહ્યાં છે કે મોદી પછી કોણ ? એ માટે પોતાનું નામ લેવું પડે. યુપીનો મજબૂત જનાધારવાળો ચહેરો હોવાથી ભાજપનું મોવડીમંડળ પણ તેમને એક અક્ષર પણ કહી શકતું નથી.
જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પહેલા ખૂબ બોલતા પણ ૨૦૧૭ બાદ તેમણે ઝોક બદલ્યો છે. માત્ર લોકલક્ષી અને લોકોને ગમે તેવા પગલાં ભરે છે અને સાથોસાથ તેમણે દિલ્હીમાં સુશાસનનું દિલ્હી મોડલ ઉભું કર્યું છે તેના સહારે પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને ગુજરાતમાં પણ પગપેસારો કર્યો છે. જેમાં તો ઓપીનિયન પોલ પ્રમાણે પંજાબમાં કેજરીવાલનો પક્ષ હાલ મુખ્ય વિપક્ષ તો છે જ હવે કદાચ ઝઘડતી કોંગ્રેસને હરાવી સત્તા મેળવે તો પણ આશ્ચર્ય નહિ થાય. કેજરીવાલને સારા નિર્ણયો લેતા રોકવા કેન્દ્ર સરકારે કાયદો કરી દિલ્હીમાં ઉપરાજ્યપાલની સત્તા વધારી દીધી. તેના કારણે કેજરીવાલની સત્તા ઘટી છે તેમ છતાં આ પૂર્વ કેન્દ્રીય અધિકારી અમૂક નિર્ણય એવા લે છે કે જે ઉપરાજ્યપાલ મંજૂર ન કરે તો લોકોમાં ઉહાપોહ થાય અને કદ તો ભાજપનું જ ઘટી જાય. દિલ્હીમાં ભાજપની લોકપ્રિયતા ઘટી છે. કોંગ્રેસ તો જીરો કક્ષાએ છે. સાવ તળિયે છે. ૨૦૧૩માં આઠ બેઠકો મળી હતી. ૨૦૧૫ અને ૨૦૨૦ની ચૂંટણીમાં તો કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નથી. જ્યારે કેજરીવાલ મર્યાદિત સત્તા વચ્ચે પણ પ્રજાલક્ષી નિર્ણયો લઈ દિલ્હી શાસનને સુશાસન અને પ્રમાણિકતાનું અને લોકલક્ષી નિર્ણયોનું મોડલ બનાવી દીધું છે. આ કોઈ જેવી તેવી સિધ્ધી તો ન જ કહેવાય.
જ્યારે કેન્દ્રમાં ભાજપની સત્તાને પડકારી શકે તેવા ત્રીજા નેતા દેશના એકમાત્ર મહિલા મુખ્યમંત્રી ટીએમસીના સુપ્રિમો મમતા બેનરજી છે. ૨૦૨૧ની ચૂંટણીમાં ભાજપે કેન્દ્રીય પ્રધાનોની ફોજ ઉતારી અધિકારીએ ચૂંટણીપંચના નામે પોતાના ગોઠવ્યા. આમ છતાં મમતા બેનરજીએ ૨૧૩ બેઠકો સાથે ભારે બહુમતી મેળવી. જાે કે પોતે નંદીગ્રામની પ્રતિષ્ઠાવાળી બેઠક પર હાર્યા પણ હવે પેટાચૂંટણી જીતી મુખ્યમંત્રીપદ જાળવશે. તેઓ કૃષિકાયદા, શ્રમીકો માટેના કેન્દ્રીય કાયદાને પડકારે છે. પશ્ચિમ બંગાળમાં અમલ નહિ કરે તેવું ખુલ્લેઆમ કહે છે. દિલ્હી આવી વિપક્ષોને એકમંચ પર લાવવા પ્રયાસો કરે છે અને બંગાળના અખબારો કહે છે તે પ્રમાણે તેઓ મોદીનો વિકલ્પ બને તેવો ચહેરો બની રહ્યા છે. ભાજપ પોતાની બંગાળમાં તાકાત વધી તેમ માની સંતોષની લાગણી અનુભવે છે પરંતુ બીજી બાજુ ૨૦૧૭થી ૨૦૨૧ દરમિયાન ટીએમસીના જે ૧૪ નેતાઓ ટીએમસી છોડી ભાજપમાં ગયા હતા તે પૈકી મુકુલ રોય સહિત આઠ નેતાઓ ઘરવાપસી કરી ચૂક્યા છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ અને સદ્ગત રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્ર પણ ટીએમસીમાં જાેડાઈ ચૂક્યા છે. બંગાળના અખબારોનો અહેવાલ સાચો પડે તો કદાચ ભાજપના જે ૭૫ ધારાસભ્યો ચૂંટાયા છે તેમાંથી ઓછામાં ઓછા ૨૫ ધારાસભ્યો ટીએમસીમાં જાેડાય તો કોઈને આશ્ચર્ય નહિ તાય. આમ તેઓ એક મજબૂત ચહેરો બની રહ્યા છે.
કેન્દ્ર સામે મજબૂત ચહેરા તરીકે ઉપસી રહેલા આ ત્રણેય મુખ્યમંત્રીઓ આગામી દિવસોમાં મોદીની નેતાગીરી સામે પડકાર ઉભો કરી શકે તેમ હોવાની વાત ભાજપના કેટલાક સૂત્રો પણ હવે સ્વીકારતા થઈ ગયાછે.
ડ્રગનો કાળો કારોબાર / તાલિબાન સત્તામાં આવ્યા બાદ 100 કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ ભારતમાં ઝડપાયું