@ આયુષી યાજ્ઞિક, અમદાવાદ
ભક્ત,ભાવ અને ભગવાન આ ત્રણેય શબ્દોનો અંદરો અંદર ખુબ જૂનો સબંધ છે. ભાવ વગર ભગવાન અધુરા અને ભગવાન વગર ભક્ત. ત્યારે આજ વાતને ધ્યાનમાં રાખીને વધી રહેલ ઠંડીથી બચવા મનુષ્યની જેમ શહેરના જગન્નાથ મંદિરમાં ભગવાનને પણ ગરમ વસ્ત્રો પહેરવામાં આવ્યા છે. ત્યારે ભક્તો દૂર-દૂર થી ભગવાનના આ રૂપના દર્શન કરવા આવે છે.
ઉત્તર તરફ થઇ રહેલ હિમ વર્ષને પગલે શહેરમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદમાં પણ તાપમાનનો પારો 8 ડિગ્રીથી નીચે ગગડી રહ્યો છે. એવામાં શહેરના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં ભગવાનને ઠંડી ન લાગે તે માટે વિશેષ ગરમ વસ્ત્રો પહેરાયા છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ને પીળા અને સફેદ રંગના સ્વેટર અને શાલ ઓઢાડાઈ છે.
દર વર્ષે જગન્નાથ મંદિરમાં મોસમને અનુરૂપ શૃંગાર, ભોગ, વસ્ત્રી પરિધાન આદિ અર્પણ કરવામાં આવે છે. ઠંડીની શરૂવાત થયે દોઢ મહિના જેટલો સમય થઇ ગયો છે પણ હજુ સુધી જોઈએ એવી ઠંડી પડી નથી. ત્યારે છેલ્લા બે દિવસથી પડી રહેલ કાતિલ ઠંડીને ધ્યાનમાં રાખી ભગવાનને ગરમ વસ્ત્રો અને શિયાળાનો ભોગ અર્પણ કરાય છે. ત્યારે ભક્તો પણ ભગવાનના આ રૂપના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
શિયાળાના સમયમાં ભગવાનને અભિષેક બાદ ભગવાનને ભોગમાં સુંઠ, ઘી, ગોળ, મરી, તજ, કેશર, કાળી મુસલી, ધોળી મુસલી, બદામ પીસ્તા કાજુ અર્પણ કરાય છે. ચાંદીની સઘડીમાં સવારે અને સાંજ બન્ને સમયે તાપણું કરવામાં આવે છે. અને ઠંડી ઓછી પડે તેવો ભાવ વ્યકત કરવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી ભગવાનને આ પ્રમાણે વિશેષ ઋતુ પ્રમાણે વસ્ત્રો પહેરાવાય છે.