સુરત જિલ્લાના માંગરોળ અને માંડવી તાલુકાના બે ગામના ખેડૂતોને મિલ માલિકોની દાદાગીરીનો સામનો કરવો પડી રહ્યો છે. નહેરને અડીને આવેલી મિલના માલિકોએ માર્જીનની જગ્યા પર દબાણ ઉભું કરતાં ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને પગલે થયેલા વિવાદમાં સિંચાઇ વિભાગના અધિકારીઓએ દરમિયાનગીરી કરવી પડી હતી.
વાત જાણે આવી છે કે, સુરત જીલ્લાના માંગરોળ અને માંડવી તાલુકાના છમુછલ અને કરંજ હરિયાલ ગામના ખેડૂતોએ મિલ માલિકોની સામે બાંયો ચઢાવી છે. નહેરના માર્જીનની જગ્યા પર કરેલા દબાણને પગલે ખેડૂતોએ નહેરની જગ્યા પર જ હોબાળો મચાવ્યો હતો. મામલો બિચકતા જોઇ સિંચાઈ વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે, એમના ખેતર નજીક આવેલા મિલ માલિકોએ નહેરની માર્જીનની જગ્યા પર ગેરકાયદેસર રીતે દીવાલ ચણી દીધી છે. સિંચાઈ વિભાગના હિસાબે નહેરના મધ્યથી 7 મીટર જેટલું માર્જીન હોવું જરૂરી છે, જેની પર મિલ માલિકો એ 2 મીટર જેટલું દબાણ કરી દીધું છે ,ખેડૂતો એ સિંચાઈ વિભાગ ના અધિકારી ની હાજરી માં મીટર ટેપ લઇ માપણી પણ કરી બતાવી હતી.
આટલું ઓછું હોઈ એમ મિલ માલિકોએ પોતાની કંપની માંથી નીકળતા તમામ પ્રકારના ગંદા તેમજ કેમિકલ યુક્ત પાણી છોડવા માટે પણ આ જ નહેરનો ઉપયોગ કરી રહ્યા હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો છે. આટલું જ નહીં મિલ માલિકો એ કંપનીઓની ગટર લાઈન ના ભૂતિયા જોડાણ સીધા નહેરમાં જ આપી દીધા છે પરંતુ કાયદા ની એસીતેસી કરતા મિલ માલિકો એ બધું નેવે મુક્યું હોવાને પગલે હાલ તો વિવાદ વધુને વધુ વકર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.