GirSomnath News: સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા સેજો ખાતે ICDS વિભાગ દ્વારા ‘પોષણ ઉત્સવ’ (Poshan Utsav) અંતર્ગત વિશેષ વાનગી પ્રદર્શન યોજાયું હતું. બંદર ખારવા સમાજની વાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શ્રી અન્ન એટલે કે જાડા ધાન્ય (મિલેટ્સ) તેમજ સરકાર દ્વારા આપવામાં આવતા THR (ટેક હોમ રેશન)ના પેકેટમાંથી વિવિધ પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી.
આંગણવાડી બહેનોએ બનાવી અવનવી વાનગીઓ
પ્રશ્નાવડા સેજોની આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહપૂર્વક મળતા પૌષ્ટિક આહારનો ઉપયોગ કરીને વિવિધ સ્વાદિષ્ટ અને આકર્ષક વાનગીઓ બનાવી પ્રદર્શન માટે રજૂ કરી હતી. કાર્યક્રમ દરમિયાન તૈયાર કરવામાં આવેલી તમામ વાનગીઓનું વેરિફિકેશન અને નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.
બાળકો અને માતાઓમાં પોષણ અંગે જાગૃતિ

‘પોષણ ઉત્સવ’નો મુખ્ય હેતુ બાળકો, સગર્ભા મહિલાઓ અને કિશોરીઓમાં પોષણનું સ્તર સુધારવાનો તેમજ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ સામગ્રી અને સરકારી યોજનાઓ હેઠળ મળતા THR રાશનનો પૌષ્ટિક રીતે ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.
કાર્યક્રમમાં બંદરના સરપંચ, PHCના મેડિકલ ઓફિસર, મુખ્ય સેવિકા તેમજ આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગામના અગ્રણીઓ, લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં કિશોરીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
બહેનોની સર્જનાત્મકતાને બિરદાવાઈ

ઉપસ્થિત મહાનુભાવોએ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ વાનગીઓનું નિરીક્ષણ કરી તેમની સર્જનાત્મકતા અને ઉત્સાહની પ્રશંસા કરી હતી. સમગ્ર કાર્યક્રમ પોષણ અંગે જાગૃતિ વધારવાના ઉદ્દેશ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
@ભરતસિંહ જાદવ
આ પણ વાંચો: સુરતમાં રોટલીમાંથી ઈયળ મળતાં હોબાળો! તપાસ બાદ પેપીલોન હોટલ સામે મોટી કાર્યવાહી
આ પણ વાંચો: ફ્રાન્સમાં નોકરીનું સપનું બતાવી આણંદના યુવક સાથે રૂ.9.50 લાખની ઠગાઈ, લાતવિયા મોકલી ખાલી હાથે પરત કર્યો
આ પણ વાંચો: અમદાવાદમાં મંજૂરી વગર સ્કૂલનું સ્થળ બદલાયું, કેશવનગરની શ્યામ ઘનશ્યામ સ્કૂલ બંધ કરાશે
