રિલાયન્સ જિયો ટેલીકોમએ એક મોટી ટેલીકોમ કંપની તરીકે પોતાનું સ્થાન બનાવી લીધું છે. માત્ર જિયોનું નેટવર્ક જ નહિ પણ જિયોફોનએ ફીચરફોન માર્કેટમાં પોતાનું સ્થાન બનાવીને એક અલગ છાપ ઉભી કરી છે. આ દરમ્યાન મુકેશ અંબાણીએ એક કાર્યક્રમ દરમ્યાન ખુલાસો કર્યો કે, ભારતમાં રોજના ૩ લાખ થી ૫ લાખ લોકો જિયોફોનને અપનાવી રહ્યા છે.
જિયોનો વિચાર મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીએ ૨૦૧૧માં આપ્યો હતો જયારે તે યેલ યુનિવર્સીટીમાં અભ્યાસ કરતી હતી અને રજા દરમ્યાન ઘરે આવી હતી. કોલેજનું કઈક કામ કરતી વખતે ઈશાએ તેના પપ્પાને કહ્યું કે આપણા ઘરનું ઈન્ટરનેટ ખુબ ખરાબ છે. અંબાણીએ કહ્યું કે, ઈશા અને તેનો જુડવા ભાઈ આકાશ ભારતની યુવા પેઢી છે. હાલની જનરેશન એવી છે કે બેસ્ટ મેળવવા માટે રાહ નથી જોઈ શકતી. આ યુવા પેઢીએ જ મને જિયોને માર્કેટમાં લાવવા માટે મનાવ્યો છે, એવું અંબાણીએ કાર્યક્રમ દરમ્યાન કહ્યું હતું.
આ જાણકારી મુકેશ અંબાણીએ લંડનમાં એક કાર્યક્રમ દરમ્યાન કહી. આ કાર્યક્રમમમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ‘ ડાઈવર્સ ઓફ ચેન્જ ’નો એવોર્ડ મળ્યો છે. જિયોએ ગયા વર્ષે જિયોફોન લોન્ચ કર્યો હતો. આ એક 4G LTE ફીચર ફોન છે. જે ગ્રાહકો માત્ર ૧૫૦૦ રૂપિયા ડીપોઝીટ કરાવીને ખરીદી શકે છે. ભારતમાં જિયોફોન ખુબ ઝડપથી પ્રખ્યાત થઇ ગયો છે અને રોજના ૩-૫ લાખ લોકો આ ફોન ખરીદી રહ્યા છે તેવું અંબાણીએ કહ્યું હતું.
જિયોના લીધે ભારતે માત્ર બે વર્ષની અંદર દુનિયાનું સૌથી વધુ મોબાઇલ બ્રોડબેન્ડ ડેટા વાપરનારો દેશ બની ગયો છે. જિયોનો આઈડિયા આવ્યા બાદ રિલાયન્સ કંપનીએ ભારતના ફોન માર્કેટમાં ૩૧ બિલિયન એટલે કે ૨.૦૧ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ૨૦૧૬માં શરુ થનારી જિયોએ ટેલીકોમ માર્કેટમાં આવતાની સાથે જ હલચલ મચાવી દીધી છે.