@ વરિષ્ઠ પત્રકાર અને કટાર લેખક, હિમ્મત ઠક્કરની કલમથી…
ગુજરાતમાં કોંગ્રેસની હારના એક નહિ અનેક કારણો કહી શકાય, પેટા ચૂંટણીમાં ભાવવધારા ફુગાવા જેવા લોકપ્રશ્નોને ગૌણ ગણી પક્ષાંતર અને ખરીદ વેચાણને લગતા આક્ષેપો કરવાની વૃતિ અને નબળા સંગઢન, તેમજ જૂથબંધીએ કોંગ્રેસને કરૂણ રકાસના માર્ગે ધકેલી દીધો છે.
ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલે ચાર્જ સંભાળ્યો ત્યારે તેમણે 2022 ની આગામી ચૂંટણીમાં તમામ 182 બેઠકો અમારે જીતવી છે તેમ કહેલું. તેમણે ચાર્જ સંભાળ્યાના ગણતરીના દિવસોમાં પેટાચૂંટણી આવી પડી. 8 બેઠકોની પેટાચૂંટણી મહત્વની હતી. ભાજપ માટે તો વકરો એટલો નફો જેવી હતી. આમ છતાં ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડવાનું નક્કી કરીને તમામ બેઠકો પર વ્યૂહ ગોઠવ્યો હતો. જે આઠ બેઠકો હતી તેમાં પાંચ બેઠક અબડાસા, ધારી, લીંબડી, મોરબી અને ગઢડા સૌરાષ્ટ્ર કચ્છની હતી. કપરડા, ડાંગ અને કરજણ દક્ષિણ ગુજરાતની હતી.
પાંચ બેઠકો અબડાસા, ધારી, મોરબી, કપરડા અને કરજણમાં ભાજપે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ઉમેદવારોને ટિકીટ આપી હતી. જ્યારે ડાંગમાં પણ થોડા સમય પહેલા કોંગ્રેસ છોડીને આવેલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે ગઢડા અને લીંબડીની બેઠક પર જૂના જાેગીઓને મેદાનમાં ઉતાર્યા હતા.
મંગળવારે બપોર બાદ પરિણામ જાહેર થતાં ભાજપના તમામ ઉમેદવારો જીત્યા છે. ક્લીન સ્વીપ મળી છે. કોંગ્રેસનો રકાસ થયો છે. મોરબી સિવાય તમામ બેઠકો પર ભાજપ 20 હજારથી શરૂ કરી 45 હજાર જેવી ધીંગી સરસાઈથી જીત્યું છે. કોંગ્રેસના આગેવાનોને પોતાનું મોઢું સંતાડવું પડે તેવું પરિણામ આવ્યું છે.
અબડાસાની વાત કરીએ તો ત્યાં પ્રથમ વખત ઈતિહાસ બદલાયો છે. 1962થી અત્યાર સુધીમાં ત્યાં એકની એક વ્યક્તિ બીજીવાર ક્યારેય ચૂંટાતી નહોતી. પક્ષ બદલનારા ક્યારે પણ જીતતા નહોતા ભૂતકાળમાં અનેક ધુરંધરોને આ વિસ્તારના મતદારોને ધૂળ ચાટતા કર્યા છે.
પરંતુ, આ વખતે પીએમના ટૂંકા નામે ઓળખાતા પ્રદ્યુમનસિંહ જાડેજા 2017માં કોંગ્રેસની ટિકિટ ઉપર તો માત્ર 10 હજાર મતે જીત્યા હતા, પરંતુ પેટા ચૂંટણીમાં એટલે કે આ વખતે ભાજપની ટિકિટ પર 38000 કરતા વધુ મતની સરસાઈથી જીત્યા છે.
બોટાદ જિલ્લાના ગઢડાની અનામત બેઠક પર તો ફરી એકવાર જૂના જાેગી અને સુરતથી 1992માં આવેલા આત્મારામ પરમાર 1995, 1995, 1998માં જીત્યા બાદ 2002માં હાર્યા હતા અને 2007 અને 2012માં ફરી જીત્યા હતા. જો કે, 2017ની ચૂંટણીમાં આત્મારામ હાર્યા અને પ્રવિણ મારૂ જીત્યા હતા. પ્રવિણ મારૂએ રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી. હવે ફરી ત્યાં આત્મારામ પરમાર જીત્યા છે.
મોરબીની બેઠક પર 2017માં કોંગ્રેસના બ્રીજેશ મેરજા જીત્યા હતા. આ અગાઉ પાંચ ચૂંટણી સુધી આ બેઠક ભાજપ પાસે હતી. આ વખતે ઓછા મતદાન અને ઘટેલી સરસાઈ સાથે આ બેઠક પર કોંગ્રેસનો ખેસ ઉતારી ભાજપનો ખેસ પહેરનાર બ્રીજેશ મેરજા જીત્યા છે.
લીંબડીની બેઠક, કે જે કોંગ્રેસના ઉમેદવાર સોમા ગાંડા પટેલના રાજીનામાને કારણે ખાલી પડી હતી ત્યાં પણ ભાજપના ઉમેદવાર જૂના જાેગી કીરીટસિંહ રાણા 28000 કરતા વધુ મતે જીત્યા છે.
કપરડાની બેઠક પર બેવાર કોંગ્રેસની ટિકિટ પર જીતેલા જીતુભાઈ ચૌધરી આ પેટા ચૂંટણીમાં ભગવો ખેસ પહેરીને ભારે મોટી બહુમતીથી જીત્યા છે.
કરજણ માં અક્ષય પટેલે પક્ષાંતર કર્યા છતાં ભાજપની ટિકિટ પર ચૂંટણી નોંધપાત્ર સરસાઈથી જીત પોતાના ગઢ જાળ્યો છે.
ડાંગનીજ્યારે જે બેઠક પર કોંગ્રેસ જ વધુ મતે જીતી છે. તે બેઠક પર ભાજપના ઉમેદવાર વિજયભાઈ પટેલ કે જેઓ કોંગ્રેસી છે તેમણે 35000 મતે જીત મેળવી છે.
ધારીની બેઠક પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જે.વી. કાકડીયા નોંધપાત્ર સરસાઈથી ફરી જીત્યા છે. આ બેઠક પર પણ ભાજપ કોંગ્રેસ જનતાદળ જનતાપક્ષ કીમલોપ અને જીપીપી જીત્યા છે. મોટે ભાગે કોટડીયા પરિવારનો દબદબો રહ્યો છે. પરંતુ આ વખતે સુરેશભાઈ કોટડીયા ઉમેદવાર હોવા છતાં ચૂંટણી હારી ગયા છે. જે પી કાકડીયા સામે ગદ્દાર સહિતના અનેક આક્ષેપોવાળા પ્રચાર થયો હોવા છતાં તેઓ જીત્યા છે. અને વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીના ગઢમાં મોટું ગાબડુ પાડ્યું છે કારણ કે 2017માં અમરેલીની પાંચેય બેઠક કોંગ્રેસને મળી હતી અને ધારી બગસરાની બેઠક પર તો દિલીપભાઈ સાંઘાણી જેવા કદાવર નેતાને હરાવી, જે વી કાકડીયા ચૂંટાયા હતા. આ વખતે ભાજપે પોતાના ઉમેદવાર તરીકે ભલે જે વી કાકડીયા હોય તેમને જીતાડી 2017નો બદલો લીધો છે.
ભાજપની જીત અને ખાસ કરીને કોંગ્રેસની હારનાં અનેક કારણોમાંથી થોડા કારણો
રાજકીય વિશ્લેષકો પોતાની રીતે આ પરિણામને મૂલવે છે. માઈક્રોપ્લાનીંગ સાથેની ક્લીનસ્વીપની સી આર પાટીલની થીયરી કામ આવી ગઈ છે અને આ થીયરી પ્રમાણે આઠેય બેઠકો પર કોંગ્રેસને મ્હાત કરીને પ્રથમ અગ્નિ પરીક્ષામાં સફળતા પૂર્વક પાર ઉતર્યા છે.
કોંગ્રેસને આઠ બેઠકો ગુમાવવી પડી છે. ભાજપને આઠ બેઠકોનો વકરો એટલો નફો થયો છે. કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી પછી ધારી, અબડાસા, ગઢડા, કરજણ સહિત ચાર બેઠકો પર અસંતોષ હતો. અબડાસામાં તો અપક્ષ મુસ્લીમ ઉમેદવારને મેદાનમાં ઉતારવાનો ભાજપનો વ્યૂહ સફળ થયો છે. કારણ કે આ અપક્ષ ઉમેદવારે 24 હજાર કરતા વધુ મત મેળવ્યા છે.
ભાજપે પહેલેથી જ આ પેટા ચૂંટણીને ગંભીરતાથી લીધી હતી. પ્રધાનો અને સાંસદોને જવાબદારી સોંપી હતી, કેન્દ્રના પાંચથી વધુ પ્રધાનો પેટા ચૂંટણીમાં પ્રચાર અર્થે આવી ગયા હતા. ભાજપે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસની વાતોની સાથે કોંગ્રેસ પર પ્રહારો તો કરવાની હતી જ નહિ, પરંતુ ભાવ વધારા ફુગાવો અને કોરોના કાળના સરકારી છબરડા સહિતની કેન્દ્ર અને રાજ્ય સરકારની ક્ષતિઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાને બદલે તેનો પ્રચાર વધુ પ્રમાણમાં કરવાને બદલે ધારાસભ્યોની ખરીદી, ભ્રષ્ટાચાર અને પક્ષાંતર કરનારાઓને ગદ્દારો ગણવાની વાત વધુમાં વધુ કહી હતી.
ધારી, અબડાસા, કરજણ, લીંબડીમાં કોંગ્રેસને તેના અસંતુષ્ઠો નડ્યા છે. કોંગ્રેસ લોકોના રોષને મતમાં પરિવર્તીત કરવામાં પરી રીતે ફરી એકવાર નાપાસ થઈ છે.
જાે કે આ ચૂંટણીને માત્ર પક્ષપલ્ટાને બહાલી આપ તો લોક ચૂકાદો કહેવા કરતા કોંગ્રેસની નબળાઈ, જૂથ બંધીએ તેના ઉમેદવારોને ઘરભેગા કર્યા છે. તેમ કહેવું યોગ્ય ગણાશે. આ ચૂંટણીમાં ભાજપનો વિજય એ સંગઠીત તાકાત અને સરકાર અને સંગઠનની એકતાનો વિજય છે. તો કોંગ્રેસની હાર તેની જ નબળાઈઓનું પરિણામ છે.
કેન્દ્રીય કોંગ્રેસ દ્વારા જે હેતુ સાથે યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલને કાર્યકારી પ્રમુખ બનાવી પાટીદાર ફેક્ટરને સૌરાષ્ટ્રમાં પ્રોત્સાહિત કરવાનો વ્યૂહ બનાવવામાં આવ્યો હતો, તે કેન્દ્રીય વ્યૂહને સ્થાનિક કોંગ્રેસ દ્વારા અસહકારનાં હથિયાર દ્વારા કાપવામાં આવ્યો હોવાનું પણ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
કેટલાક વિશ્લેષકોના મતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની ટીમે સંયુક્ત તાકાતથી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની યોગ્ય સંગઠન વગરની કોંગ્રેસની ટીમને પરાસ્ત કરી છે.