હરિયાણાનાં ભીવાનીમાં એક ખેડૂતનું જેલમાં મૃત્યુ થઇ ગયું છે. લોન ચૂકવી ન શકતા આ ખેડૂતને જેલ મોકલવામાં આવ્યા હતા અને જેલ મોકલ્યા બાદ 10 દિવસમાં જ એમનું નિધન થઇ ગયું. બેંક ચેક બાઉન્સ થવાના મામલે જેલમાં બંધી બનાવેલાં 65 વર્ષનાં રણબીર સિંહ પર 9.65 લાખ રૂપિયાનું દેવું હતું. સોમવારે એટલે કે એક ઓક્ટોબરે એમણે છાતીમાં દુખાવો હોવાની ફરિયાદ કરી હતી. જેલ અધિકારીઓ રણબીરને સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા ત્યાં ડોકટરે એમને મૃત જાહેર કર્યા હતા.
રણબીરના મૃત્યુથી એમનો પરિવાર નારાજ હતો અને એમણે મૃત શરીર લેવાની અને પોસ્ટમોર્ટમ કરવાની ના પાડી દીધી હતી. તેઓએ કાર્યાલયની બહાર ધરણા ધર્યા હતા. પ્રશાસને મોડી સાંજે પરિવારની ઘણીબધી માંગોને સ્વીકારી હતી. પરિવારે બુધવારે શબ લેવા માટેની હા કહી છે. પરિવાર દ્વારા થયેલાં ધરણામાં કિસાન સભાનાં લોકો અને ઘણાં નેતા પણ શામેલ થયા હતા. પરિવારે આરોપ લગાવ્યો હતો કે લોન મામલે સજા મળવાના કારણે આઘાતમાં એમનું જેલમાં મૃત્યુ થયું. ભીવાનીનાં ડેપ્યુટી કમિશનર અંશજ સિંહે મૃતકનાં પરિવારને પાંચ લાખ રૂપિયા, ઋણ માફી અને પરિવારના કોઈ સભ્યને એક નોકરી આપવાનું આશ્વાશન આપ્યું છે.
મીડિયા રીપોર્ટસ અનુસાર, રણબીરને 2016માં ટ્રાયલ કોર્ટ દ્વારા બે વર્ષની સજા મળી હતી. એમણે ટ્રેક્ટર ખરીદવા માટે લોન લીધી હતી. એમણે 2006માં બેંકમાંથી દોઢ લાખ રૂપિયાની લોન લીધી હતી અને તેઓ એની ભરપાઈ કરી શક્યા ન હતા અને દેવું વધી ગયું હતું. તેઓ પાંચ બાળકોનાં પિતા હતા.