વિદેશમાં રહેતા 4355 NRI કોરોના વાયરસના કારણે મૃત્યુ પામ્યા છે. સરકારે ગુરુવારે કહ્યું કે કોવિડ-19ને કારણે 88 દેશોમાં 4355 વિદેશી ભારતીયોના મોત થયા છે. સૌથી વધુ, 1237 ભારતીયો સાઉદી અરેબિયામાં મૃત્યુ પામ્યા હતા, ત્યારબાદ સંયુક્ત આરબ અમીરાત (UAE)નો નંબર આવે છે.
આ માહિતી વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને એક પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્યસભામાં આપી હતી. તેમણે કહ્યું કે કોવિડ-19ને કારણે સાઉદી અરેબિયામાં 1,237, UAEમાં 894, કુવૈતમાં 668, ઓમાનમાં 555, બહેરીનમાં 203, અમેરિકામાં પાંચ અને રશિયામાં 15 ભારતીયોના મોત થયા છે.
મંત્રીએ કહ્યું કે આ રોગચાળાને કારણે કતારમાં 113 અને મલેશિયામાં 186 પ્રવાસી ભારતીયોના મોત થયા છે. મુરલીધરને કહ્યું, ‘વિવિધ ભારતીય મિશન પોસ્ટ્સ પર ઉપલબ્ધ વિગતો મુજબ, કોવિડ-19ને કારણે 4,355 NRI મૃત્યુ પામ્યા છે. અંતિમ સંસ્કાર માટે 127 મૃતદેહો ભારત લાવવામાં આવ્યા હતા.
ભારતમાં છેલ્લા એક દિવસમાં કોવિડ-19ના 67084 નવા કેસ નોંધાયા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 4,24,78,060 થઈ ગઈ છે. તે જ સમયે, સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 790789 થઈ ગઈ છે. ગુરુવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, દેશમાં કોવિડ -19 થી વધુ 1241 લોકોના મૃત્યુ પછી, ચેપને કારણે જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા વધીને 5,06,520 થઈ ગઈ છે.