આવકવેરા વિભાગે મીડિયા જૂથો પર આવકવેરા દરોડા અંગેના કેટલાક મીડિયા અહેવાલોને નકારી દીધા છે. આવકવેરા વિભાગ વતી કહેવામાં આવ્યું છે કે, ‘મીડિયાના કેટલાક વર્ગ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે અધિકારીઓ એક પ્રકાશની ઓફિસની સર્ચ દરમિયાન સમાચારમાં ફેરફાર સૂચવતા હતા અને સંપાદકીય નિર્ણયો લેતા હતા. આ આક્ષેપો એકદમ ખોટા છે અને આઈટી વિભાગે સ્પષ્ટ રીતે નકારી કાઢયા હતા.
આવકવેરા વિભાગે કહ્યું છે કે, ‘વિભાગના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને તપાસ ટીમે કરચોરી સંબંધિત જૂથના નાણાંકીય વ્યવહારની માત્ર તપાસ કરી હતી. ઇન્ટરવ્યુમાં લગાયેલા આક્ષેપોને પણ નકારી કાઢવામાં આવ્યા છે. આઇટી વિભાગે કહ્યું છે કે, ‘જે આરોપો લગાવવામાં આવી રહ્યા છે તેનો કોઈ આધાર નથી અને હકીકતમાં તે પ્રેરિત લાગે છે’.
આવકવેરાના દરોડા અંગે વિરોધી પક્ષો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો વચ્ચે સરકારે ગુરુવારે કહ્યું કે એજન્સીઓ તેમનું કામ કરે છે અને “અમારે તેમાં કોઈ હસ્તક્ષેપ કરતાં નથી. માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું કે સંપૂર્ણ માહિતી લેવી જ જોઇએ. ઘણા બધા વિષયો એવા હોય છે જે સત્યથી આગળ હોય છે. નોંધપાત્ર વાત એ છે કે, કરચોરીના આરોપસર આવકવેરા વિભાગે ગુરુવારે જુદા જુદા શહેરોમાં સ્થિત બે મીડિયા જૂથોના પરિસરમાં દરોડા પાડ્યા હતા.