ગુરૂવારે રાત્રે 12 વાગ્યે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના સેડલા ગામે એક વૃદ્ધ વ્યક્તિ માટે સુરેન્દ્રનગર જિલ્લાની 108 માલવણ એમ્બ્યુલન્સને બોલાવી હતી. 108 માલવણના ફરજ પર હાજર સ્ટાફ ઈએમટી પ્રસેનજિત કૌશલ અને પાઇલોટ રાજદીપસિંહ ઝાલા તાકીદે દર્દીના ઘરે પહોંચી ગયા હતા. જેમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, દર્દી પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠા હતા. તેમજ બોલી કે ચાલી શકે નહિ એવી અજાગૃત અવસ્થામા હતા.
– પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, દર્દી પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠા હતા. તેમજ બોલી કે ચાલી શકે નહિ એવી અજાગૃત અવસ્થામા હતા
તેમની શારીરિક તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે, દર્દીનું સુગર એકદમ ઘટી ગયું હતું. 108ના ઇ.એમ.ટી.પ્રસેનજિત કૌશલે એમની હેડ ઓફિસ પરના ફિઝિશિયનના માર્ગદર્શન દ્વારા દર્દીની તાત્કાલિક સારવાર ચાલુ કરતા સુરેન્દ્રનગરના સિવિલ હોસ્પિટલે લઇ જતા રસ્તામાં જ આ વૃધ્ધ સંપૂર્ણ ભાનમાં આવી ગયા હતા.એમના પરિવારજનોમાં પણ આ ક્ષણે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અને 108 એમ્બ્યુલન્સની સેવાનો હ્રદયથી આભાર વ્યક્ત કરીને 108 ઇમરજન્સી સેવાને બિરદાવી હતી.