2002માં ગોધરા ટ્રેન સળગાવાની ઘટનામાં સુપ્રીમ કોર્ટે દોષિતોને મોટી રાહત આપી છે. કોર્ટે આ કેસમાં દોષિત ફારુકને જામીન આપી દીધા છે. દોષિત 17 વર્ષથી જેલમાં છે. તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ફારુકને જામીન આપતા કોર્ટે કહ્યું કે તે 17 વર્ષ જેલમાં રહી ચૂક્યો છે.
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હાની બેન્ચે દોષિતોમાંથી એક ફારૂક માટે હાજર રહેલા વકીલની રજૂઆતો પર વિચાર કર્યો. ફારુકના વકીલે કહ્યું કે અત્યાર સુધીના સમયગાળાને જોતા તેને જામીન આપવામાં આવે.
આ કેસની સુનાવણી દરમિયાન ગુજરાત સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર થયા હતા. તેમણે કહ્યું કે આ સૌથી જઘન્ય અપરાધ હતો જેમાં મહિલાઓ અને બાળકો સહિત 59 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. તુષાર મહેતાએ કહ્યું કે દોષિતોની અપીલ પર વહેલી તકે સુનાવણી કરવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, કોર્ટે ફારુક અને અન્યને સાબરમતી એક્સપ્રેસના કોચ પર પથ્થરમારો કરવા બદલ દોષી ઠેરવ્યા હતા. તુષાર મહેતાએ જણાવ્યું હતું કે પથ્થરમારો સામાન્ય રીતે ગૌણ પ્રકૃતિનો ગુનો છે, પરંતુ મુસાફરો સળગતી ટ્રેનમાંથી બહાર ન આવી શકે અને સળગીને મૃત્યુ પામે તે માટે ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
27 ફેબ્રુઆરી, 2002ના રોજ, ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસની બોગી એસ-6ને સળગાવી દેવામાં આવી હતી. આગમાં 59 લોકો દાઝી ગયા હતા. આ ઘટના બાદ ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા.