UAEમાં રમાયેલા T20 વર્લ્ડ કપ 2021 ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમે ભારત સામે પ્રથમ વખત જીત મેળવી હતી, ત્યારબાદ ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોનું માનવું હતું કે બન્ને ટીમો વચ્ચે વધુ મેચો રમાવી જોઈએ. જોકે, બન્ને દેશો વચ્ચે બગડતી રાજકીય પરિસ્થિતિને કારણે 2012થી ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય સીરીઝ રમાઈ નથી. દરમિયાન, પાકિસ્તાન ક્રિકેટ ટીમના અધ્યક્ષ રમીઝ રાજાએ મંગળવારે સાંજે એક મોટી જાહેરાત કરી અને માહિતી આપી કે હવે બન્ને દેશો વચ્ચે દર વર્ષે દ્વિપક્ષીય સીરીઝ રમાશે.
આ પણ વાંચો – Retirement / IPL ઈતિહાસનાં અત્યાર સુધીનાં સૌથી મોંઘા વિદેશી ખેલાડીએ સન્યાસ લેવાની કરી જાહેરાત
ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાનની ટીમો લાંબા સમયથી માત્ર ICC અને બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં એકબીજા સામે રમતી જોવા મળી રહી છે, જેમાં ચેમ્પિયન્સ ટ્રોફી, T20-ODI વર્લ્ડકપ અને એશિયા કપનો સમાવેશ થાય છે. નફા અને મનોરંજનની દ્રષ્ટિએ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી દ્વિપક્ષીય સીરીઝ વિશ્વની સૌથી મોટી સીરીઝ સાબિત થઈ શકે છે, જેને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ લાંબા સમયથી બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય સીરીઝ શરૂ કરવા ઈચ્છી રહ્યું છે. જો કે તે કામ કરી શક્યું નથી. આ વખતે પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં નવા અધ્યક્ષ રમીઝ રાજાએ દર વર્ષે બન્ને દેશો વચ્ચે સીરીઝનું આયોજન કરવાનો નવો પ્રસ્તાવ મૂક્યો છે અને આ માટે તેમણે BCCIને બદલે ICCનો સંપર્ક કર્યો છે. રમીઝ રાજાએ મંગળવારે મોડી રાત્રે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આની જાહેરાત કરી હતી. રમીઝ રાજાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, ‘હેલો ફેન્સ, અમે ICC ને 4 ટીમની ચતુષ્કોણ સુપર T20 સીરીઝનું આયોજન કરવાનો પ્રસ્તાવ આપી રહ્યા છીએ, જેમાં ભારત, પાકિસ્તાનની સાથે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમો પણ ભાગ લેશે. આ 4 દેશો વચ્ચે રોટેશન પોલિસી અનુસાર તેનું આયોજન કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટ માટેનાં નફાનું મોડલ ખાસ રીતે ICC સભ્યો સાથે શેર કરવામાં આવશે, જેમાં ટકાવારીનાં આધારે હિસ્સો નક્કી કરવામાં આવશે અને અમને બધાને એક વિજેતા મળી જશે.
આ પણ વાંચો – IPL / ચીની કંપની Vivo ને IPL એ કહ્યુ Tata, ટૂર્નામેન્ટને મળ્યો નવો ટાઈટલ સ્પોન્સર
નોંધનીય છે કે PCB દ્વારા આપવામાં આવેલા આ પ્રસ્તાવ પર હજુ નિર્ણય લેવાનો બાકી છે અને ICC આ ચતુષ્કોણ સીરીઝને ગ્રીન સિગ્નલ આપે છે કે નહીં તે જોવાનું રહેશે, પરંતુ તેમ છતાં બન્ને ટીમો 2022માં ઓછામાં ઓછી બે વાર આમને સામને થશે. આપને જણાવી દઈએ કે, ભારત અને પાકિસ્તાન આ વર્ષે એશિયા કપ 2022 અને ઓસ્ટ્રેલિયામાં રમાનારા T20 વર્લ્ડકપમાં ટકરાવાના છે. UAE માં રમાયેલા T20 વર્લ્ડકપમાં, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી, ત્યારે બાબર આઝમની આગેવાની હેઠળની ટીમે વિરાટ સેનાને દરેક વિભાગમાં આઉટ કરી હતી અને તેમને 10 વિકેટે એક તરફી પરાજય આપ્યો હતો.