Vadodra News ; વડોદરામાં બનેલી એક ઘટનામાં ડર સાથે રમૂજ પણ ભળી હતી. જેમાં એક યુવકની બાઈકના આગળના ભાગે હેડલાઈટની ઉપર એક કોબ્રા સાપ ધૂસી ગયો હતો. કાળોતરા સાપને જોઈ બાઇકચાલક યુવાન ડરી ગયો હતો અને તુરંત જ તેણે રેસ્ક્યૂ કરનારને ફોન કરી બોલાવ્યા હતા. જે બાદ બાઈકનો મોરો ખોલી યુવકે સાપને જોઈને એ રાજા… કહેતાની સાથે જ સાપે ફેણ માંડી હતી. જે બાદ યુવક રેસ્ક્યૂ કરવા જતાં ફુફાડો મારીને કરડવાનો પ્રયાસ કર્યો હતો. પોણા કલાકની ભારે જહેમત બાદ સાપને બહાર કાઢવામાં યુવકોને સફળતા મળી હતી. આ રેસ્ક્યૂનો વીડિયો પણ યુવકે ફોનના કેમેરામાં કેદ કર્યો છે. ઉલ્લખનીય છે કે, ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ શહેરમાં સાપ અને મગરો નીકળવાની શરૂઆત થઈ ગઈ છે. ક્યારેક તો આ સરીસૃપો રહેણાક વિસ્તારો સુધી પહોંચી જતા હોય છે.
યુવકને જોઈ સાપે ફેણ માંડી ફુફાડો માર્યો
વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં બાઈકમાં કોબ્રા સાપ ઘૂસી ગયાનો વન્યજીવ વોલિન્ટિયર યશ તડવી અને સ્નેહલ પટેલ કોલ મળ્યો હતો. જેથી તેઓ તાત્કાલિક સાપનું રેસ્ક્યૂ કરવા સ્થળે પહોંચ્યા હતા. બાઈકની આગળ હેડલાઈટના ભાગમાં કોબ્રા સાપ ઘૂસી ગયો હોવાથી બાઈકચાલક યુવક ગભરાઈ ગયો હતો. જે બાદ સાપનું રેસ્ક્યૂ કરવા બન્ને યુવકોએ બાઈકનો મોરો ખોલતા સાપ ફીંડલું વળીને બેઠો હતો. હાજરના યુવકે એ રાજા બોલતાની સાથે જ સાપે ફેણ માંડી હતી અને રેસ્ક્યૂ કરનાર સામે ફુંફાડો માર્યો હતો.
બાઈકના મોરાના ભાગે ઘૂસેલા કોબ્રાને પોણા કલાકની જહેમત બાદ સહી સલામત રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી હતી. ચોમાસાની શરૂઆત થતાની સાથે જ બાઈક અને સ્કૂટરમાં સાપ ભરાઈ જવાની ઘટનામાં પણ વધારો થવા લાગ્યો છે. લોકોએ વાહનોમાં બેસતા પહેલાં સાવધાનીના ભાગે વાહનની સંપૂર્ણ તપાસ કરી લેવી. આ ઉપરાંત બૂટ-ચંપલ પહેરતા પહેલાં પણ એક વાર તપાસ કર્યા બાદ જ બૂટ-ચંપલ પહેરવા ચોમાસામાં હિતાવહ રહેશે.
વિશ્વામિત્રી નદી અને ગ્રીન બેલ્ટને કારણે સરીસૃપોને સારું વાતાવરણ મળે છે. અમદાવાદ અને સુરત કરતાં વડોદરાનું વાતાવરણ સરીસૃપોને અનુકૂળ આવી ગયું છે. અવરનેશને કારણે પહેલાં કરતાં હવે સાપના કોલ વધારે મળી રહ્યા છે. વડોદરામાં 20 ટકા જેટલા સાપ ઝેરી છે, જ્યારે 80 ટકા જેટલા સાપ બિનઝેરી જોવા મળે છે. સૌથી વધુ સાપ ચોમાસામાં નીકળે છે. પછી ઉનાળામાં જોવા મળે છે અને શિયાળામાં સાપ દરમાં જતા રહે છે. આખા ગુજરાતમાં સરીસૃપોની વસતિ વડોદરામાં જ વધારે છે. શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી અને જંગલને કારણે વન્ય જીવોને માનવવસતિની વચ્ચે જીવી રહ્યા છે.
દર વર્ષે સમગ્ર વિશ્વમાં 54 લાખ લોકોને સર્પદંશની એટલે કે, સાપ કરડવાની ઘટના બનતી હોય છે, જેમાંથી આશરે 81,000થી 1.37 લાખ જેટલા કિસ્સામાં મૃત્યુ થાય છે. વિશ્વમાં સર્પદંશના 100 પૈકી 50થી વધારે કિસ્સા એકલા ભારતમાં બને છે. મુંબઈ સ્થિત ICMRની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઈન રિપ્રોડક્ટિવ હેલ્થની માહિતી પ્રમાણે ભારતમાં વર્ષ 2000થી 2019 વચ્ચેના ગાળામાં એટલે કે, 20 વર્ષના ગાળામાં ભારતમાં સાપ કરડવાને લીધે આશરે 12 લાખ લોકોનાં મોત થયાં હતાં. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ દેશમાં સર્પદંશને હાઈ-પ્રાયોરિટી નેગ્લેક્ટેડ ટ્રોપિકલ ડિસીઝ તરીકે ગણાવે છે.
આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ
આ પણ વાંચો: શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો
આ પણ વાંચો: GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ
આ પણ વાંચો: કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની કરાઈ ધરપકડ, ફોન ડિટેઇલમાંથી ખુલશે નવા રહસ્યો