હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે. આ તહેવાર 19 સપ્ટેમ્બર 2021 એટલે કે અનંત ચતુર્દશી સુધી ચાલશે. આ 10 દિવસ દરમિયાન ગણપતિની પૂજા કરવામાં આવે છે. આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાના આદર પ્રમાણે ગણેશજીની પૂજા કરે છે. બાપ્પાને લાલ અને પીળો રંગ ખૂબ જ પ્રિય હોય છે.
સવારે સ્નાન કર્યા પછી ભગવાન ગણેશની વિધિ વિધાન સાથે પૂજા અને અર્ચના કરવી. પૂજામાં ભગવાન ગણેશને મનપસંદ ફૂલો અને દુર્વા અર્પણ કરો. આમ કરવાથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. આ ઉપરાંત, ધ્યાનમાં રાખો કે કઈ વસ્તુઓ અર્પણ કરવી અને કઈ ન કરવી જોઈએ. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભગવાનની પ્રિય વસ્તુથી પૂજા કરવામાં આવે તો બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ચાલો જાણીએ કે ભગવાન ગણેશને કયા ફૂલો અર્પણ કરવા જોઈએ અને કયા નહીં.
કેતકીના ફૂલ :
ભગવાન ગણેશને કેતકીના ફૂલ ચડાવવા ન જોઈએ. પૌરાણિક માન્યતાઓ અનુસાર, કેતકી ફૂલો ભગવાન શિવને અપ્રિય છે. તેથી તેને ગણેશજીને પણ અર્પણ કરવા ન જોઈએ.
તુલસી :
શાસ્ત્રો અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે ન તુલસ્ય ગણાધિપમ. આનો અર્થ એ છે કે તુલસી ભગવાન ગણેશને અર્પણ કરવા ન જોઈએ. એકવાર તુલસીજીએ ભગવાન ગણેશને લંબોદર કહીને લગ્ન કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ ગણેશજીએ તુલસીને શ્રાપ આપ્યો હતો અને ત્યારથી તુલસી ચડાવવું વર્જીત માનવામાં આવે છે.
સૂકા અને વાસી ફૂલ :
પૂજામાં ભગવાન ગણેશજીને સુકા અને વાસી ફૂલો ન ચડાવવા જોઈએ. તેમની પૂજામાં સૂકા ફૂલ ચડાવવા અશુભ માનવામાં આવે છે. અને માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં ગરીબી આવે છે.
ક્યાં ફૂલ અર્પણ કરવાં જોઈએ ?
જાસૂદના ફૂલ :
જાસૂદના લાલ અને પીળા ફૂલો ગણેશજીને ખૂબ પ્રિય હોય છે. તેથી, આ ફૂલ ચડાવવાથી ભગવાન ગણેશ જલ્દી પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોની તમામ મુશ્કેલીઓ દૂર કરે છે.
ગલગોટાના ફૂલ :
ગણેશજીને મુખ્યત્વે ગલગોટાના ફૂલ અર્પણ કરવા જોઈએ. આ ફૂલ ગણેશજીને ખૂબ જ પ્રિય છે. પૂજામાં આ ફૂલ અર્પણ કરવાથી બધી મનોકામના જલ્દી પૂર્ણ થાય છે.