દક્ષિણ આફ્રિકાએ ભારતને વનડે શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરીને ઇતિહાસ રચ્યો હતો. ટેસ્ટ શ્રેણી હાર્યા બાદ ભારતને વનડે શ્રેણીમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. આ શ્રેણી બાદ દક્ષિણ આફ્રિકાનાં ખેલાડીઓ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે અને તેઓ તેમની ખુશીને રોકી શકતા નથી.
આ પણ વાંચો – Shocking / ક્રિકેટનાં મેદાને ઈજાગ્રસ્ત થયા બાદ મોતને ભેટ્યા આ 5 ક્રિકેટર્સ
યજમાન ટીમનાં લેફ્ટ આર્મ સ્પિનર કેશવ મહારાજે સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો છે, જે ઘણો વાયરલ થઈ રહ્યો છે. મહારાજે આ પોસ્ટમાં જય શ્રી રામ લખ્યું છે. મહારાજે વિરાટ કોહલીને ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન મોકલીને ODI શ્રેણીમાં પણ વિશેષ સિદ્ધિ હાંસલ કરી હતી. કેશવ મહારાજે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા ફોટો સાથે કેપ્શનમાં લખ્યું, ‘શું શ્રેણી હતી, આ ટીમ પર ગર્વ છે કે આ ટીમ કેટલી આગળ આવી છે. હવે પછીની શ્રેણીની તૈયારી કરવાનો સમય છે. જય શ્રી રામ.’ મહારાજ ભલે દક્ષિણ આફ્રિકામાં રહેતા હોય પરંતુ તેઓ હંમેશા ભારતીય સંસ્કૃતિના સંપર્કમાં રહે છે. તે મંદિર જાય છે અને હનુમાનજીની પૂજા પણ કરે છે. મહારાજે ODI શ્રેણીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેણે ત્રણ મેચમાં ત્રણ વિકેટ લીધી હતી. સીરીઝની બીજી અને ત્રીજી ODIમાં મહારાજે બંને વખત ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને આઉટ કર્યો હતો. બીજી વન-ડેમાં મહારાજે કોહલીને ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન મોકલી દીધો અને તે આવું કરનાર વિશ્વનો પ્રથમ સ્પિનર બન્યો હતો. આ પછી, કેપટાઉનમાં ત્રીજી વનડેમાં, જ્યારે ભારતીય બેટ્સમેન અડધી સદી સાથે તેની સદી તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે તેણે કોહલીને આઉટ કર્યો.
આ પણ વાંચો – IND vs SA / સીરીઝમાં સફાયા બાદ ટીમ ઈન્ડિયા માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા
કેશવ મહારાજનાં પૂર્વજો ઉત્તર પ્રદેશનાં સુલતાનપુરનાં હતા. કેશવનાં પિતા આત્માનંદ મહારાજે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમના પૂર્વજો 1874ની આસપાસ સુલતાનપુરથી ડરબન સ્થળાંતર કરીને આવ્યા હતા. તેણે કહ્યું હતું કે તેમનો પરિવાર ડરબનમાં રહેતો હોવા છતાં પણ તે ભારતની સંસ્કૃતિમાં વિશ્વાસ રાખે છે અને તમામ તહેવારોની ઉજવણી કરે છે.