ફાસ્ટેગ આવવાથી ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામનું ભારણ તો હળવું થયું છે પરંતુ હજુ પણ ફાસ્ટેગની લાઇનમાં સમય તો બગડે જ છે. જેનાથી વર્ષે દ્હાડે કરોડોનું બળતણ બળે છે. પરંતુ હવે આ ઝંઝટમાંથી છુટકારો મળવાનો છે. કેન્દ્રીય સડક-પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં ટોલ પ્લાઝા (ટોલ બૂથ)ને લઈને એક મહત્વની જાહેરાત કરી છે.
ગડકારીએ કહ્યું કે આગામી એક વર્ષની અંદર દેશના તમામ ટોલ પ્લાઝાનો અંત આવશે. જોકે ટોલ નાકા સમાપ્ત કરી નાખવાનો અર્થ એ નથી કે, ટોલના પૈસા જ નહીં ચુકવવા પડે. પરંતુ હવેથી ગાડીઓ પર લાગેલી જીપીએસ સિસ્ટમ (GPS System)ની મદદથી ટોલ વસુલવામાં આવશે. આગામી સમયમાં ટેક્નોલોજીની મદદથી લોકોને જેટલા રસ્તાનો ઉપયોગ કરે તેટલો જ ટોલ ચુકવવો પડશે.
અમરોહાના બીએસપી સાંસદ કુંવર દાનિશ અલીએ ગઢ મુક્તેશ્વરની પાસ આવેલા ટોલ પ્લાઝાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના પર જવાબ આપતા નીતિન ગડકરીએ કહ્યું કે પાછલી સરકારોએ મલાઈ ખાવા માટે આવા ટોલ પ્લાઝા ઊભા કરી દીધા હતા. આ નિશ્ચિત રૂપે ખોટું છે અને અન્યાય છે.
નીતિન ગડકરીએ કહ્યું કે જો આવા ટોલ પ્લાઝાને કાઢી નાંખવામાં આવશે તો રસ્તો બનાવનાર કંપની વળતર માંગશે પણ સરકાર હવે એક વર્ષમાં દેશમાં બધા જ ટોલ ખતમ કરવાની યોજના બનાવી છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ટોલ ખતમ કરવાનો અર્થ ટોલ પ્લાઝા ખતમ કરવાનો છે. હવે સરકાર એવી ટેકનિક પર કામ કરી છે કે જેવા તમે હાઇવે પર ચડશો તો કેમેરાથી ફોટો લેવામાં આવશે અને હાઇવેથી ઉતરી જશો એટલે કેમેરાથી ફોટો પડી જશે. જેટલા રોડ પર મુસાફરી કરવામાં આવી છે બસ એટલો જ ટોલ આપવાનો રહેશે.