રાજ્યમાં ગમખ્વાર અકસ્માતના સમાચાર રોજિંદા બન્યા છે. પ્રતિદિન ગમખ્વાર અકસ્માત થતાં હોય છે જેમાં અનેક લોકોના મોત નિપજે છે ,આજેમોરબી-માળીયા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે . માળિયાના અમરનગર અને લક્ષ્મીનગર વચ્ચે સર્જાયેલા વિચિત્ર ત્રિપલ અકસ્માતમાં એક ગાડીનું ટાયર ફાટતા બીજી ગાડી સાથે અથડાઇ, ત્યારબાદ કચ્છ તરફ જતા ટેમ્પો સાથે અથડાઇ હતી. જેમાં મોરબીના લોહાણા પરિવારના ચાર સભ્યો સહિત કુલ પાંચ લોકોના મોત થયા છે. જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ લોહાણા પરિવાર સામખીયારી નજીક કટારીયા ગામે માતાજીના દર્શન કરી પરત રહ્યો હતો. આ અકસ્માતમાં રાજ્ય સરકારે મૃતકોને ચાર લાખની સહાય અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય જાહેર કરી છે.
મોરબી-માળીયા હાઇવે ઉપર અમરનગર અને લક્ષ્મીનગર વચ્ચે આવેલી હોટલ પાસે કારનું ટાયર ફાટતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં સામખીયારી નજીક કટારીયા ગામે માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા મોરબીના વકીલ પીયૂષ રવેશિયાના માતા-પિતા અને તલાટી બહેનનું મોત નીપજ્યું હતું. મૃતકોમાં મહેન્દ્ર પ્રાગજીભાઈ રવેશિયા, સુધાબેન મહેન્દ્રભાઈ રવેશિયા, મહેન્દ્રભાઈના પુત્રી જિજ્ઞાબેન જિગરભાઈ જોબનપુત્રા અને જિજ્ઞાબેનના પાંચ વર્ષના બાળકનું તેમજ માધાપર કચ્છના ભુડિયા જાદવજીભાઈ રવજીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.
આ અકસ્માતમાં કારનું ટાયર ફાટયા બાદ સામે અન્ય એક કાર સાથે અકસ્માત થવાની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ કરી પરત ફરી રહેલા કચ્છના પરિવારની ટેમ્પો ટ્રાવેલ્સ પણ અકસ્માતનો ભોગ બનતા ટેમ્પો ટ્રાવેલ્સમાં સવાર 7 લોકોને ઇજાઓ પહોંચી હતી.મુખ્યમંત્રીએ આ મૃતકોને સરકાર તરફથી રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજાર સહાય આપવાની જાહેરાત કરી છે
મૃતકોના નામ
- 1) મહેન્દ્રભાઈ પ્રગજીભાઈ રવેશિયા (ઉ.73), રહે. કાલિકા પ્લોટ, મોરબી
- 2) સુધાબેન મહેન્દ્રભાઈ રવેશિયા (ઉ.68), રહે. કાલિકા પ્લોટ, મોરબી
- 3) જિજ્ઞાબેન ઘનશ્યામભાઈ જોબનપુત્રા (ઉ.37), રહે. રામેશ્વર એપાર્ટમેન્ટ, મોરબી
- 4) રિયાન્સ ઘનશ્યામભાઈ જોબનપુત્રા (ઉ.2 વર્ષ), રહે. રામેશ્વર એપાર્ટમેન્ટ, મોરબી
- 5) જાદવજીભાઈ રવજીભાઈ ભુડિયા (ઉ.46) રહે. માધાપર ગામ, ભુજ
ઇજાગ્રસ્તોના નામો
- 1) ઘનશ્યામભાઈ ભીખાભાઈ રવેશિયા, રહે. મોરબી
- 2) વનીતાબેન ભરતભાઇ હીરાણી (ઉ.36), રહે. માધાપર, ભુજ
- 3) ભરતભાઇ ધનજીભાઈ હીરાણી (ઉ.36), રહે. માધાપર, ભુજ
- 4) દેવેન્દ્ર ભરતભાઇ હીરાણી (ઉ.9), રહે. માધાપર, ભુજ
- 5) હેતુલક્ષી ભરતભાઇ હીરાણી (ઉ.10), રહે. માધાપર, ભુજ
- 6) ભરતભાઈ વિશ્રામભાઇ ડબાસિયા (ઉ.42) રહે. માધાપર, ભુજ
- 7) મંજૂલાબેન ભરતભાઈ ડબાસિયા (ઉ.40) રહે. માધાપર, ભુજ