મુંબઇ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની એન્ટી ઇમિગ્રેશન પોલિસી અને બ્રિટનનું યુરોપીયન યુનિયનમાંથી બહાર નીકળી જવાને કારણે ભારત પર મોટી અસર પડી છે.ભારતમાંથી નોકરી કરવા અમેરિકા અને યુકે જતાં ઇચ્છુકોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે.
એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ભારતમાંથી નોકરી માટે યુએસએ અને યુકે જતાં લોકોમાં 38%થી લઇને 42% સુધીનો ઘટાડો થયો છે.સપ્ટેમ્બર 2016થી લઇને ઓક્ટોબર 2017ના આંકડા પ્રમાણે ગયા વર્ષની સરખામણીએ આ બંને દેશોમાં જતા લોકોમાં ખાસો ઘટાડો થયો છે.
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ બંને દેશોની રાજકીય પરિસ્થિતિ બદલાવવાને કારણે અહીં નોકરી કરવા ભારતીયોનો રસ ઓછો થયો છે.ભારતીયો હવે પોતાના દેશમાં જ નોકરી કરવું વધારે પસંદ કરે છે.
અમેરિકામાં જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર બની છે ત્યારથી ત્યાંની વીઝા પોલિસી પર અનેક સવાલો ઉભા થયા છે.નોકરીયાતો માટે અપાતા એચવનબી વીઝાના નિયમો પણ ટ્રમ્પ સરકારે કડક કર્યા હોવાને કારણે ભારતીયો હવે અમેરિકા જવાનું ઓછુ પસંદ કરે છે.
આવી જ હાલત યુકેની છે.અહીં બ્રેક્ઝીટ લાગુ થયા પછી વીઝાના નિયમોમાં ઘણાં ફેરફાર થયા છે.ભારતીયો માને છે કે યુરોપિયન યુનિયનમાંથી યુકે બહાર નીકળ્યાં પછી અહીં નોકરી કરવી સરળ નથી.આ જ કારણોસર યુકેમાં પણ નોકરી કરવા જવાનો ક્રેઝ પહેલાં કરતા ઓછો થયો છે.