Patan News : પાટણમાં બનેલી એક કરૂણ ઘટનામાં બે બાળકીઓના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. આ બનાવની વિગત મુજબ પાટણના શંખેશ્વર તાલુકાના લીલોડા ગામમાં આ હૃદયદ્વાવક ઘટના સામે આવી હતી. જેમાં નાયક પરિવારની બે બાળકી મોતને ભેટી હતી. બે બાળકીના મોતને પગલે પરિવારજનો અને ગ્રામજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
લોલાડા ગામના તળાવ પર નાયક પરિવારના સભ્યો કપડા ધોવા માટે ગયા હતા. પરિવારના અન્ય સભ્યો તળાવના કિનારે કપડા ધોતા હતા, ત્યારે પરિવારની બે દીકરીઓ શિલ્પા અને જયશ્રી તળાવમાં ન્હાવા માટે પડી હતી. ન્હાવા પડતી વખતે બંને તળાવના ઊંડા ભાગમાં પહોંચી ગઈ હતી અને ડૂબી હતી.
મંગળવારે બપોરે નાયક પરિવારની મહિલાઓ તળાવ પર કપડા ધોવા માટે ગઈ હતી. તેઓ સાથે પરિવારની બે માસુમ દીકરીઓ પણ તળાવ પર ગઈ હતી. ગરમીથી રાહત મેળવવા માટે બન્ને બાળકી તળાવમાં ન્હાવા પડતાં તળાવના ઊંડા પાણીમાં ગરક થઈ ગઈ હતી. મહિલાઓએ આ ઘટના જોઈ બુમાબુમ કરી, જેના પગલે આજુબાજુના લોકો તાત્કાલિક તળાવ પર દોડી આવ્યા. સ્થાનિક તરવૈયાઓએ તળાવમાં ડૂબેલી બન્ને માસુમ બાળકીના મૃતદેહોને બહાર કાઢ્યા.
બન્ને માસુમ બાળકીના મૃતદેહોને શંખેશ્વર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા. તબીબોએ બન્ને બાળકીના મોતની પુષ્ટિ કરી, જેનાથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.ઘટનાની જાણ થતાં શંખેશ્વર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાએ નાના એવા લોલાડા ગામમાં શોકનું માહોલ છવાઈ ગયો છે. નાયક પરિવાર માટે આ ઘટના વજ્રઘાત સમાન હતી અને સમગ્ર ગામ આ દુઃખદ ઘટનાથી શોક છે.
આ દુર્ઘટનાએ તળાવ નજીક સાવચેતીના અભાવ અને સુરક્ષા વ્યવસ્થાઓ પર સવાલો ઉભા કર્યા છે. તળાવમાં ન્હાવા માટે કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે આવા દુર્ઘટનાઓ થતી હોવાનો આક્ષેપ ગામલોકોએ કર્યો છે.
આ પણ વાંચો:વડાપ્રધાનના રોડ શો વખતે જ વરસાદની આગાહી, સાંજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા
આ પણ વાંચો:પેવર બ્લોકના કામના બિલના ચેક માટે 1.43 લાખની લાંચ લેતા જૂનાગઢનો જુનીયર એન્જીનિયર ઝડપાયો
