Vadodara News: વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી મુક્તિધામ (Gotri Crematorium) નજીકથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 5 ઓગસ્ટની મોડી રાત્રે સ્મશાન નજીક આવેલી કચરાપેટીમાંથી અડધી બળેલી હાલતમાં એક મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચર્ચા અને ચકચાર ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ યુથ કોંગ્રેસના આગેવાન પવન ગુપ્તા અને તેમના સાથીઓને થતા તેમણે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલાની જાણ સ્થાનિક પોલીસને કરી હતી. ત્યારબાદ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.
મૃતદેહ માનવીનો છે કે પશુનો? પોલીસ તપાસમાં રહસ્ય
પ્રાથમિક તપાસમાં મૃતદેહની હાલત એવી હોવાનું સામે આવ્યું છે કે તે માનવીનો છે કે કોઈ પશુનો તે ઓળખવું મુશ્કેલ બની રહ્યું છે. પોલીસે મૃતદેહને તપાસ માટે મોકલી આપ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર મામલો સ્પષ્ટ થઈ શકશે.હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે મૃતદેહને કચરાપેટીમાં જ સળગાવવામાં આવ્યો હતો કે પછી સ્મશાન (Gotri Crematorium)માંથી અડધો બળેલો મૃતદેહ અહીં લાવીને ફેંકવામાં આવ્યો હતો.
Gotri Crematorium સંચાલન અને પોલીસની કામગીરી સામે સવાલો
ઘટનાને લઈને યુથ કોંગ્રેસના કાર્યકરોએ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે સ્મશાન (Gotri Crematorium) નજીક આ પ્રકારની ઘટના બની અને લાંબા સમય સુધી કોઈના ધ્યાનમાં ન આવી તે ગંભીર બાબત છે.તેમણે એવો પણ સવાલ કર્યો હતો કે રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ થતું હોવા છતાં આ બાબત પોલીસના ધ્યાનમાં કેમ ન આવી.
તપાસ બાદ હકીકત સામે આવશે
હાલ ગોત્રી પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. મૃતદેહના પરીક્ષણ બાદ જ સ્પષ્ટ થશે કે આ મૃતદેહ કોનો હતો અને તે અહીં કેવી રીતે પહોંચ્યો. બીજી તરફ, જો મૃતદેહ પશુનો પણ હશે તો તેને કચરાપેટીમાં આ રીતે સળગાવવાની ઘટનાને લઈને પણ સ્થાનિકોમાં સવાલો ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો:વરસાદ વચ્ચે વેરાવળ સ્મશાનમાં અવ્યવસ્થા, ગેસ ભઠ્ઠી શરૂ કરવા માગ
આ પણ વાંચો:અમદાવાદમાં રિવરફ્રન્ટના બીજા તબક્કાનાં લીધે કેન્ટોન્મેન્ટ સ્મશાનના દરવાજા થશે બંધ
આ પણ વાંચો:અમદાવાદમાં ‘કફનના કપડાં’નો કાળો કારોબાર? સ્મશાનથી બજાર સુધીની ચોંકાવનારી સપ્લાય ચેનનો ખુલાસો
