Surat News : ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં 23 જૂનના રોજ જ કોઝવેમાં પાણીની સપાટી ભયજનક સ્તરને આંબી ગઈ હોય વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો. ત્યારબાદ 11 ઓગસ્ટના રોજ પાણીની સપાટી નીચે ઉતરતા વાહનવ્યવહાર માટે શરૂ કરાયો હતો. જોકે, 6 મીટરની ભયજનક સપાટીએ સાત જ દિવસમાં ફરીવાર પહોંચતા ફરી બંધ કરી દેવાયો હતો. આજે છેલ્લા 144 દિવસથી બંધ કોઝવેને ખુલ્લો મુકવામાં આવ્યો છે.
સિઝનમાં હમણાં સુધી જૂન માસમાં 8 દિવસ, જુલાઈમાં 31 દિવસ, ઓગસ્ટમાં 25 દિવસ, સપ્ટેમ્બરમાં 30 દિવસ, ઓક્ટોબરમાં 31 દિવસ અને હાલમાં નવેમ્બરમાં 20 દિવસ કોઝવે બંધ રહ્યો હતો. દરમિયાન કોઝવેની સપાટી ભયજનકથી નીચે ઉતરી 5.56 મીટરની સપાટીએ પહોંચ્યો છે. ચાલુ સિઝનમાં પાણીના વહેણને પગલે કોઝવેની બન્ને બાજુનું આરસીસી સ્ટ્રક્ચર અસરગ્રસ્ત થયું છે. કોઝવે ખુલ્લો મુકાતા કતારગામ અને રાંદેરના હજારો લોકોને ફેરાવો લેવામાંથી રાહત મળશે.
તાપી નદી પર 31 કરોડના ખર્ચે વર્ષ 1995માં આ વિયર કમ કોઝવે બનાવવામાં આવ્યો હતો. આ કોઝવે દર વર્ષે ચોમાસા દરમિયાન ઓવરફ્લો થાય છે. પાણીના અતિશય પ્રવાહને કારણે તેના ડાઉન સ્ટ્રીમ (નીચાણવાળા પ્રવાહ વિસ્તાર)માં ધોવાણ અને નુકસાન થવું સામાન્ય છે, પરંતુ ગત વર્ષે આ નુકસાન ખૂબ જ ગંભીર બન્યું હતું. ગત ચોમાસામાં ભારે વરસાદ અને પાણીના પ્રવાહના કારણે કોઝવેના ડાઉન સ્ટ્રીમમાં આવેલું એપ્રેન (સંરક્ષણ માળખું) ધોવાઈ ગયું હતું. ડાઉન સ્ટ્રીમમાં જમીન બેસી જતાં પાલિકાએ સુરક્ષા માટે મૂકેલા મોટા કોંક્રિટના ક્યુબ પણ બહાર નીકળી ગયા હતા.
ગત ચોમાસા બાદ કોઝવેમાં થયેલા ગંભીર નુકસાનને ધ્યાનમાં લઈને પાલિકા દ્વારા તેના સ્ટ્રેન્થનિંગની યોજના તૈયાર કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત કોઝવેની ક્ષતિઓ અને આવશ્યક સમારકામ માટે રાષ્ટ્રીય સ્તરની એજન્સીઓ પાસે સર્વે કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, વિવિધ એજન્સીઓ પાસે સર્વે કરાવીને અંતિમ નિર્ણય લેવાની પ્રક્રિયામાં એક વર્ષ જેટલો મોટો વિલંબ થયો છે. પાલિકાની ધીમી કાર્યવાહીના કારણે, આ વર્ષે ફરી ચોમાસું બેસી ગયું અને આ વિલંબને કારણે નુકસાનનો વ્યાપ વધ્યો છે અને કોઝવેના ડાઉન સ્ટ્રીમમાં નવું ધોવાણ થયું છે, જેનાથી સ્થિતિ વધુ જોખમી બની છે.
હાલના સમયમાં કોઝવેમાં પાણીની સપાટી ઘટી છે, જેના કારણે ડાઉન સ્ટ્રીમમાં પડેલું મોટું ભંગાણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. એક વર્ષ વીતી ગયું હોવા છતાં, કોઝવેના નુકસાનને અટકાવવા કે તેના સ્ટ્રેન્થનિંગ માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેનાથી શહેરના નાગરિકો અને માળખાકીય સુરક્ષા પર જોખમ તોળાઈ રહ્યું છે.
આ કોઝવે સુરત શહેરની જળ વ્યવસ્થા અને પરિવહન માટે અત્યંત મહત્વપૂર્ણ છે, એવો નિષ્ણાતોનો મત છે. જો ચોમાસા પહેલા સ્ટ્રેન્થનિંગનું કામ શરૂ કરવામાં ન આવ્યું, તો આગામી સમયમાં ભારે પ્રવાહ કોઝવેના માળખાને વધુ નુકસાન પહોંચાડી શકે છે અને તેની ઉપયોગિતા પર ગંભીર અસર પડી શકે છે.
