- આઝાદી બાદ પહેલી વખત વડાપ્રધાન અને મુખ્યમંત્રી વચ્ચેનું શાબ્દિક યુધ્ધ
- વડાપ્રધાન વર્સિસ મુખ્યમંત્રીનું આવું શાબ્દિક યુધ્ધ આઝાદી પછી પ્રથમ વખત જોવા મળ્યું છે બન્નેએ પોતાના હોદ્દાની ગરિમા જાળવી નથી તેવું મોટા ભાગના વિશ્લેષકો કહે છે.
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
પાંચ રાજ્યોની ચૂંટણી પ્રક્રિયા કોરોનાના કરંટ વચ્ચે પણ શરૂ છે તેમાંથી પશ્ચિમ બંગાળની ચૂંટણીનું સૌથી વધારે મહત્વ અપાય છે. ટીવી ચેનલો શરૂ કરશો એટલે તરત જ તેમાં પશ્ચિમ બંગાળ ચૂંટણી પ્રચાર ઝુંબેશનો કોઈ અંશ અવશ્ય દેખાશે. પાંચ રાજ્યોની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૩ જેટલી જાહેરસભાઓને સંબોધન કર્યું છે. તેમાંની ૧૪ જેટલી સભા માત્રને માત્ર પશ્ચિમ બંગાળમાં છે. ગૃહમંત્રી અમિત શાહે પણ પશ્ચિમ બંગાળમાં ૩૦ થી વધુ સભાઓ સંબોધી છે જ્યાં ટીએમસીના સુપ્રિમો મમતા બેનરજી વ્હીલ ચેરમાં બેસીને પણ રોજની બે થી ૩ સભા અને એક રોડ શો યોજી રહ્યા છે. જાણે કે દિલ્હીમાં કોઈ મોટું કામ જ ન હોય તેમ કેન્દ્રના ૨૨ પ્રધાનો પશ્ચિમ બંગાળમાં ફરી રહ્યા છે. ટુંકમાં વડાપ્રધાનની જેમ તેમના પ્રધાનો પણ વહિવટી વાતને ગૌણ બનાવી સ્ટાર પ્રચારકો બની ગયા છે. ઉત્તર પ્રદેશમાં ભલે કાયદો અને વ્યવસ્થા સહિત અનેક સમસ્યાઓ હોય પરંતુ ત્યાંના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જે જવાબદારીથી મુખ્યમંત્રીની ભૂમિકા નિભાવે છે તેના કરતા વધુ જવાબદારીથી પક્ષના સ્ટાર પ્રચારક તરીકેની ભૂમિકા નિભાવે છે.
જો કે આ પ્રવચનોમાં ચૂંટણી ઢંઢેરા કે કહેવાતા સંકલ્પપત્રો જાહેર કરવાના એક કે બે દિવસને બાદ કરતાં હકારાત્મક વાતો લગભગ ભૂલાઈ ગઈ છે. માત્ર મમતા દીદી પર પ્રહારોની વાત ભાજપના સ્ટાર પ્રચારકોના પ્રવચનમાં વધારે હોય છે. તેમ મમતા દીદી પણ પોતે કરેલી કામગીરીની વાત ૪૦ ટકામાં વર્તાવે છે તો બાકીની ૬૦ ટકા વાત મોદી અને મોદી સરકાર પર પ્રહારો કરવામાં સમય પસાર કરે છે.
ગાંધીનગર / ભાજપના મંત્રી કાર્યાલયમાં પણ હવે કોરોનાએ મચાવ્યો કોહરામ
જો કે ડાબેરીઓ મમતા અને ભાજપ બન્ને પર પ્રહારો કરે છે અને સાથો સાથ એકાદ વક્તા ડાબેરી મુખ્યમંત્રી જ્યોતિબસુના સુશાસનની વાત પણ યાદ કરે છે જો કે પશ્ચિમ બંગાળની આ વખતની ચૂંટણીમાં ડાબેરીઓ અને કોંગ્રેસ ગઠબંધન ગૌણ બાબત બની ગઈ છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના બે તબક્કાનું મતદાન અને ત્રીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર પૂરો થઈ ચૂક્યો છે હજી પાંચ તબક્કાનું મતદાન બાકી છે.
તાજેતરમાં હુબલી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ૬૦ મિનિટના પ્રવચનમાં ઓછામાં ઓછું ૬૦ વખત મમતા દીદીનું નામ લીધું હશે. દીદી હવે તમારી હાર નક્કી છે. બીજી મે પછી મમતા દીદી સત્તા પર નહિ હોય ૨૦૦થી વધુ બેઠકો સાથે રાજ અમારૂ હશે. ટીએમસીનો અર્થ વડાપ્રધાન જુદો કરે છે. તોડ તાડ મની અને કમિશન કરે છે. પહેલા કોંગ્રેસ પછી ૩૦ વર્ષ ડાબેરીઓએ બંગાળને બરબાદ કર્યું અને ૧૦ વર્ષના દીદીના શાસનને તો દાટ વાળી દીધો તેવું વડાપ્રધાન વારંવાર કહે છે. કેન્દ્રની કિસાન સન્માનનિધિ સહિતની કોઈ યોજનાઓનો દીદી અમલ કરતાં નથી તેમ કહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુમાં કહે છે કે હું જયશ્રી રામ બોલુ તે દીદીને ગમતું નથી. જ્યારે હું બાંગ્લાદેશમાં કોઈ મંદિરમાં જઈ પૂજા કરૂ તો તેની સામે દીદી નારાજગી વ્યક્ત કરે છે. મમતા દીદી નંદીગ્રામમાં હારે છે તેવું ત્યારબાદ યોજાયેલી ત્રણથી ચાર જેટલી જાહેર સભાઓમાં વડાપ્રધાન બોલ્યા છે ભાજપના નેતાઓને બાહર કરી મમતાદીદી પશ્ચિમ બંગાળની સંસ્કૃતિનું અપમાન કરી રહ્યા છે.
જ્યારે સામે પક્ષે મમતા બેનરજીએ જે દિવસે હુબલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા હતી તે જ દિવસે ત્યાંથી ૬૦ કિલોમીટરના અંતરે આવેલા સ્થળે યોજાયેલી સભાને સંબોધતા કહ્યું કે ભાજપ પશ્ચિમ બંગાળમાં ભાગલા પડાવે છે. મોદી સરકારે દેશના જાહેર સાહસો ખાનગી કંપનીઓને વેચી દેવાનો ધંધો શરૂ કર્યો છે. ટીએમસીની દરેક બાબત અને સારા કામ અને સારી વ્યક્તિ મોદીને ભ્રષ્ટાચારી લાગે છે અને ટીએમસીમાં હતા જ્યારે જે નેતાઓ સામે મોદીએ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા તે નેતાઓ ભાજપમાં ગયા એટલે પવિત્ર બની ગયા છે. મમતા દીદીએએમ પણ કહ્યું કે મોદી – શાહની જોડી જેઓ પશ્ચિમ બંગાળ જીતવા તમામ પ્રકારની એટલે કે મની મસલ્સ અને કેન્દ્ર સરકાર દ્વારા સત્તાના દુરૂપયોગ સહિત અનેક પ્રયાસો શરૂ રાખ્યા છે. એક સભામાં તો મમતા દીદીએ એમ પણ કહી દીધું કે કેગ સીબીઆઈ અને ચૂંટણી પંચ સહિતની સ્વાયત સંસ્થાઓ હવે સ્વાયત રહી નથી. કેન્દ્ર સરકારની કઠપૂતળી બની ગઈ છે.
ટુંકમાં આઝાદી પછીના ઈતિહાસમાં પ્રથમ વખત એવું બની રહ્યું છે કે જ્યારે કોઈ વડાપ્રધાને કોઈ મુખ્યમંત્રીને લક્ષ્યાંક બનાવતા શાબ્દિક પ્રહારો કર્યા હોય. પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુથી શરૂ કરીને મનમોહનસિંહ સુધીના કોઈ વડાપ્રધાને કોઈ મુખ્યમંત્રી પર અત્યારે જેટલા શાબ્દિક પ્રહારો કર્યા છે તેટલા કર્યા નથી તો સામે પક્ષે કોઈ મુખ્યમંત્રીને વડાપ્રધાન સામે કરવા પડ્યા નથી. જો કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ સામે માત્રને માત્ર ગુજરાતને અન્યાય થઈ રહ્યાની વાત કરતા હતા.
નિષ્ણાતો આ અંગે વધુમાં કહે છે કે દેશના પ્રથમ બીનકોંગ્રેસી વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈએ પણ પોતાના ટુંકા શાસન દરમિયાન ૧૦થી વધુ વિધાનસભાની ચૂંટણી વખતે મર્યાદિત પ્રમાણમાં રેલીઓ સંબોધી છે. પરંતુ તેમાં કોઈ રાજ્યના મુખ્યમંત્રી સામે વ્યક્તિગત પ્રહારો કર્યા નથી. તેમજ તે વખતના કોઈ મુખ્યમંત્રીઓને પણ મોરારજીભાઈ પર પ્રહારો કરવાનો એક પણ મુદ્દો મળ્યો નથી તે પણ હકિકત છે. જ્યારે ૧૯૯૮થી ૨૦૦૪ સુધી વડાપ્રધાન પદે રહેનાર અને ભાજપ નેતા શાસનને સુશાસન કહે છે તે ભારતરત્ન અટલબિહારી વાજપેયીએ ભલે કોંગ્રેસ પર ખૂબ પ્રહારો કર્યા હશે પરંતુ કોઈપણ રાજ્યના મુખ્યમંત્રી રપર જરા પણ પ્રહારો કર્યા નથી તે હકિકતનો કોઈ ઈન્કાર કરી શકે તેમ નથી.
પશ્ચિમ બંગાળમાં ભાજપના ચૂંટણી પ્રચારના બીજા મુખ્ય સ્ટાર પ્રચારક અમિત શાહે તાજેતરમાં એવું કહ્યું કે જો બંગાળમાં ભાજપ સત્તા પર નહિ આવે તો ઘુસણખોરી અને તૃષ્ટીકરણ વધશે તેનો પણ ટીએમસીના નેતાઓએ એવો જવાબ આપ્યો કે ભાજપના શાસનના છેલ્લા સાડ છ વર્ષના શાસનમાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદના બનાવો કેમ વધ્યા છે. નરેન્દ્ર મોદી ડોલર સામે રૂપિયાના મૂલ્ય બાબત અને મોંઘવારી ઘટાડી અચ્છે દિન લાવવાનું વચન પળાયુ છે ખરૂ ?
પશ્ચિમ બંગાળમાં ત્રણ તબક્કાના ચૂંટણી પ્રચારનો એટલો જ અર્થ કરી શકાય કે વડાપ્રધાન વર્સિસ મુખ્યમંત્રીનું આવું શાબ્દિક યુધ્ધ આઝાદી પછી પ્રથમ વખત જોવા મળ્યું છે બન્નેએ પોતાના હોદ્દાની ગરિમા જાળવી નથી તેવું મોટા ભાગના વિશ્લેષકો કહે છે.