કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે કહ્યું હતું કે જો ભાગલા સમયે કેટલીક સાવચેતી રાખવામાં આવી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં પણ ભારતમાં હોત. શીખ સમુદાયે આઝાદીની લડાઈમાં બલિદાન આપ્યું છે રાજનાથ સિંહે કહ્યું કે જ્યારે અમને આઝાદી મળી ત્યારે વિભાજનનો ભોગ આપણને સહન કરવો પડ્યો, શીખ સમુદાયે ઘણું સહન કરવું પડ્યું હતું .
રાજનાથ સિંહે કહ્યું, ‘તમારા યુવાનોને શીખનો ઇતિહાસ શીખવો.આ દેશ શીખ સમુદાયના યોગદાનને ક્યારેય ભૂલશે નહીં. કેટલાક લોકો ખાલિસ્તાનની માંગ કરે છે. તમે કેમ ખાલિસ્તાનની વાત કરો છો, આખું ભારત તમારું છે. ‘ સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ભારતે ભૂતકાળમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. ભારતીય સંસ્કૃતિ આજે માત્ર શીખ સમુદાયના કારણે ટકી છે. શીખ સમુદાયનો સુવર્ણ ઇતિહાસ છે પરંતુ મુશ્કેલી એ છે કે આમાંના ઘણા લોકો ઇતિહાસ જાણતા નથી.
ઉલ્લેખનીય છે કે ગુરુદ્વારા પાકિસ્તાનના નરવાલ જિલ્લામાં છે અને તે ભારતની સરહદથી માત્ર ત્રણ કિલોમીટર દૂર છે. લાહોરથી તેનું અંતર લગભગ 120 કિલોમીટર છે. અગાઉ ભારતના ભક્તો દૂરબીનથી કરતારપુર સાહિબ ગુરુદ્વારાના દર્શન કરતા હતા, જેને ભારત અને પાકિસ્તાન સરકારે કોરિડોર બનાવ્યો હતો.
કરતારપુર સાહિબ ગુરુદ્વારા શીખોનું ધાર્મિક સ્થળ છે, જે પાકિસ્તાનમાં આવેલું છે. ગુરુ નાનક દેવે પોતાના જીવનના અંતિમ વર્ષો આ ગુરુદ્વારામાં વિતાવ્યા હતા. અહીં તે લગભગ 16 વર્ષ રહ્યા. આ ગુરુદ્વારા તેમના શરીરનો ત્યાગ કર્યા બાદ બનાવવામાં આવ્યો હતો.