MANTAVYA Vishesh/ મંદી એટલે શું, તેની શું થઈ શકે છે અસર?

હાલમાં દરેક વર્તમાનપત્રો, ટીવી ચેનલો, વેબસાઇટો અને સોશિયલ મીડિયા તથા સામાજિક વર્તુળોમાં એક જ વાત ચર્ચાય છે અને એક જ શબ્દ સંભળાય છે તે છે મંદી….કોઈને પણ થાય કે આ મંદી છે શું? …

Mantavya Vishesh

હાલમાં દરેક વર્તમાનપત્રો, ટીવી ચેનલો, વેબસાઇટો અને સોશિયલ મીડિયા તથા સામાજિક વર્તુળોમાં એક જ વાત ચર્ચાય છે અને એક જ શબ્દ સંભળાય છે તે છે મંદી….કોઈને પણ થાય કે આ મંદી છે શું? … સામાન્ય માનવી માટે આ મંદીનો અર્થ શું છે?…આ મંદી કેમ આવે છે અને ભારતમાં આ મંદી આવી તો આપણા જીવન પર તેની શું અસર થશે? …હવે આ મંદી શું છે તે જોઈએ અને તેની આપણા જીવન પર પડનારી અસરને પણ જોઈએ તથા વર્તમાન ઘટનાક્રમની સાથે-સાથે ઇતિહાસના પાનાઓ પર ફેરવી જોઈએ….

મંદી શું છે?

મંદીને સાવ સરળ શબ્દોમાં સમજીએ તો આ એવી પરિસ્થિતિ છે જ્યારે કોઈ દેશનું અર્થતંત્ર સુસ્ત થઈ જાય છે…. ટેકનિકલ રીતે કોઈપણ દેશનું અર્થતંત્ર મંદીમાં ત્યારે આવેલું માનવામાં આવે છે જ્યારે દેશનો કુલ જીડીપી એટલે કે કુલ ઉત્પાદન સળંગ છ મહિના સુધી ઘટે છે….આનો સીધો અર્થ એમ થાય છે કે કારખાનાઓમાં સામાન ઓછો બની રહ્યો છે, દુકાનોમાં વેચાણ ઓછું થઈ રહ્યું છે, લોકો ઓછો ખર્ચ કરી રહ્યા છે, નોકરીઓ ઘટી રહી છે….સામાન્ય માનવી માટે મંદીનો અર્થ થાય છે મોંઘવારી વધવી, નોકરીનો ભય અને ખિસ્સા પર ભારે ભરખમ બોજ….

મંદી કેમ આવે છે?

મંદી આવવા પાછળ ઘણા કારણ છે જેમકે…

બજારમાં માંગ ઘટવી

હવે જો લોકો સામાન ખરીદવાનું બંધ કરવા લાગે તો કંપનીઓ ઉત્પાદન ઘટાડે છે. તેના કારણે કર્મચારીઓમાં છટણી શરૂ થઈ જાય છે….

વૈશ્વિક સંકટ

યુદ્ધ અને રોગચાળાના પગલે મોટા દેશોના અર્થતંત્રમાં ઘટાડો. ….ઉદાહરણ તરીકે જોઈએ તો 2022થી ચાલતુ રશિયા-યુક્રેન યુદ્ધ તેલ અને અનાજની કિંમતોને વધારી રહ્યું છે….તેના કારણે સમગ્ર વિશ્વમાં મોંઘવારી વધી છે….

બેન્કોનું સંકટ

હવે જો બેન્કો લોન આપવાની ઠપ કરી દે અથવા તો દેવાળું ફૂંકે તો કારોબાર ઠપ થઈ જાય છે. 2008ની વૈશ્વિક મંદી તેનું મોટું ઉદાહરણ છે….

સરકારી નીતિઓ

વ્યાજદર વધારવા અથવા તો ખોટા આર્થિક નિર્ણયો લેવાના પગલાં પણ મંદીને આમંત્રણ આપે છે…

ટ્રમ્પના ટેરિફનું મંદી સાથે શું જોડાણ?

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ અને મંદી વચ્ચેનું જોડાણ ઘણા બધા આર્થિક પરિબળોને આભારી છે….આ પરિબળો વૈશ્વિકથી લઈને સ્થાનિક બાબતો પર અસર નાખી શકે છે….ટ્રમ્પે તેના બીજા કાર્યકાળમાં રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરી છે…તેના હેઠળ અમેરિકા તે દેશો પર તેટલો જ વેરો લગાવે છે જેટલો વેરો તે અમેરિકન સામાન પર લગાવે છે….

એપ્રિલ 2025 સુધી તેમા ભારત પર 26 ટકા, ચીન પર 34 ટકા, યુરોપીયન યુનિયન પર 20 ટકા ટેરિફ સામેલ છે….તેનો હેતુ અમેરિકન ઉદ્યોગોને સંરક્ષણ આપવો અને વ્યાપાર ખાધમાં ઘટાડો કરવાનો છે, પરંતુ તેના પરિણામ મંદીને ટ્રિગર કરી શકે છે….ટેરિફના લીધે આયાતી સામાન મોંઘો થઈ શકે છે…તેના કારણે અમેરિકન ગ્રાહકોની ખર્ચશક્તિ ઘટી શકે છે અને મોંઘવારી વધે છે….

આના લીધે માંગમાં ઘટાડો થઈ શકે છે, જે કંપનીઓના ઉત્પાદન અને નોકરીઓને પ્રભાવિત કરે છે…. બીજી બાજુ અમેરિકન ટેરિફથી અસર પામનારા દેશો જેવા કે ચીને પહેલા જ ટેરિફ નાખી દીધો છે….તેના કારણે વ્યાપાર યુદ્ધ છેડાઈ શકે છે… તેના લીધે નિકાસ પર આધારિત અર્થતંત્રો જેવા કે ભારત જેવા દેશોમાં આઇટી અને ફાર્મા ઇન્ડસ્ટ્રી ઠપ થઈ શકે છે…

અહીં તે વાત નોંધવી જરૂરી છે કે 1929ની મહામંદી પહેલાં સ્મૂટ-હોલે ટેરિફ એક્ટે પણ આવી જ સ્થિતિનું નિર્માણ કર્યુ હતું….તે સમયે કારોબાર 65 ટકા સુધી સંકોચાઈ ગયો હતો…. નિષ્ણાતોનું માનવું છે કે વર્તમાન ટેરિફથી અમેરિકામાં સ્ટેગફ્લેશન એટલે કે મોંઘવારીની સાથે સુસ્ત વિકાસની સ્થિતિ સર્જાઈ શકે છે….તેના લીધે વૈશ્વિક પુરવઠા મોરચે અવરોધ આવતા ભારત જેવા દેશોમાં પણ મંદીની અસર જોવા મળી શકે છે…જો કે તેના અંગે એક દલીલ એવી છે કે આ નીતિ અમેરિકામાં લાંબા ગાળે ઉત્પાદનને પ્રોત્સાહન આપી શકે છે, પરંતુ હાલના સ્તરે જોખમમાં જોઈએ તો મંદીની સંભાવના પ્રબળ છે….

1929ની મંદીની ઐતિહાસિક ઝલક

અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી મોટી મંદી એટલે કે મહામંદી 1929માં આવી હતી…. તેને ગ્રેટ ડીપ્રેશન પણ કહેવાય છે… તેનો પ્રારંભ અમેરિકામાં શેરબજારમાં કડાકો બોલવા સાથે થયો હતો.  તે સમયે ઓક્ટોબર 1929માં વોલસ્ટ્રીટમાં બોલેલા કડાકાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું…. આ મંદીની અસર આખા વિશ્વ પર થઈ હતી…. ભારતમાં તે સમયે બ્રિટિશ શાસન હતું….આ મંદીએ ભારતીય ખેડૂતોને બરબાદ કરી નાખ્યા હતા….અનાજ અને કપાસની કિંમતો ઘટી ગઈ હતી….ખેડૂતોએ ઋણ ચૂકવવા માટે તેમનું સોનું વેચવું પડ્યું હતું…. આ સોનાને બ્રિટને ખૂબ જ સસ્તામાં ખરીદ્યું હતું….શહેરોમાં નોકરીઓ ઘટી અને ગરીબી વધી…. આ મંદીમાંથી બહાર આવવામાં વિશ્વને એક દાયકાનો સમય લાગ્યો હતો અને બીજું વિશ્વયુદ્ધ આ મંદીના ઓછાયામાં જ થયું હતું….

2008ની મંદી શું હતી?

1929ની મહામંદીને ‘ગ્રેટ ડિપ્રેશન’ તો 2008ની મંદીને ‘ગ્રેટ રિસેશન’ કહેવાય છે…. અમેરિકામાં હાઉસિંગ માર્કેટમાં કડાકો બોલવાના લીધે આ મંદીનો પ્રારંભ થયો હતો…. હવે સબપ્રાઇમ મોર્ગેજ સંકટે મોટી બેન્કો અને નાણા સંસ્થાઓને દેવાળુ ફૂંકવાની ફરજ પાડી હતી… લેહમેન બ્રધર્સ જેવી મોટી નાણા સંસ્થાએ દેવાળું ફૂંકતા લોકોનો મોટી નાણા સંસ્થાઓમાં વિશ્વાસ ડગમગી ગયો હતો… તેના પછી આ સંકટ વિશ્વસ્તરે ફેલાઈ ગયું…. તેનું કારણ એ હતું કે અમેરિકન અર્થતંત્ર સાથે જોડાયેલા શેરબજાર વેપાર અને રોકાણ તેનાથી અસર પામ્યા હતા….

ભારત પર તેની અસર ઓછી પરંતુ ઉલ્લેખનીય થઈ હતી…. તે સમયે ભારતનો જીડીપી ગ્રોથ રેટ 9 ટકાની ઉપર હતો, જે 2008-09માં ઘટીને 6.7 ટકા ઉપર આવી ગયો હતો…. આ કટોકટીના લીધે નિકાસ પર આધારિત સેક્ટરો જેવા કે ટેક્સ્ટાઇલ, જ્વેલરી અને આઇટી પર તેની અસર પડી હતી, કેમકે અમેરિકા અને યુરોપમાં માંગ ઘટી હતી…. સેન્સેક્સ ઓક્ટોબર 2008માં 21 હજારથી ઘટીને સીધો 8,000 પર પહોંચી ગયો હતો, જેના કારણે રોકાણકારોનો આત્મવિશ્વાસ ડગમગી ગયો હતો….

જો કે ભારતની મજબૂત સ્થાનિક માંગ અને બેન્કિંગ સેક્ટર પર ચુસ્ત નિયંત્રણ તથા સરકારના 1.86 લાખ કરોડ રૂપિયાના પ્રોત્સાહન પેકેજે દેશને મોટા નુકસાનમાંથી બચાવી લીધો હતો…. આમ છતાં નાના કારોબારો અને નોકરિયાતો પર તેની અસર પડી હતી…. તેનું કારણ એ હતું કે વિદેશી રોકાણ ઘટ્યું હતું અને છટણી વધી હતી….આ મંદીએ ભારતને તે શીખવાડ્યું કે વૈશ્વિક સંકટથી સંપૂર્ણપણે બચવું મુશ્કેલ છે, પરંતુ આત્મનિર્ભરતા અને નીતિગત પગલાં દ્વારા તેને અસરકારક રીતે સંભાળી શકાય છે….

2025માં પણ મંદીનો સકંજો?

હાલમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ઘણા સંકટ મંડાયેલા છે… રશિયા-યુક્રેન યુદ્ધના લીધે તેલ અને ગેસની કિંમત આકાશને સ્પર્શી રહી છે….અમેરિકા-યુરોપમાં વ્યાજદર વધતાં ત્યાંની કંપનીઓ રોકાણ ઘટાડી રહી છે….આઇએમએફે ચેતવણી આપી છે કે 2025માં ઘણા દેશ મંદીની ઝપેટમાં આવી શકે છે….

ભારત પર અસર

ભારતનું અર્થતંત્ર વિશ્વ સાથે જોડાયેલું છે, પરંતુ આપણી તાકાત સ્થાનિક વપરાશ છે… આપણા અર્થતંત્રનો 65 ટકા હિસ્સો સ્થાનિક બજાર પર આધારિત છે…. છતાં પણ મંદીની અસર ઘણી રીતે થઈ શકે છે….

ખર્ચ વધશે

મંદી આવશે તો દાળ, ચોખા, તેલ અને પરિવહન મોંઘું થશે. માસિક બજેટ પર પણ બોજ પડશે…

નોકરીનો ડર

જો તમે નોકરિયાત છો તો છટણીથી લઈને વેતન કાપનો ડર લાગશે…. નાના વેપારીઓની દુકાનદારી મંદી પડી શકે છે….

બચત પર અસર

બેન્કોના વ્યાજદરમાં વધારો થતાં લોન લેવી મોંઘી પડશે. બચત કરવી મુશ્કેલ થશે….

જીવનશૈલીના ખર્ચમાં કાપ

લોકો બહાર હરવાફરવાનો ખર્ચ ઘટાડી શકે છે, નવી ચીજો ખરીદવાનું ઘટાડી શકે છે….

ભારતમાં અગાઉ આવેલી મંદી

ભારતમાં આ પહેલાં 1958, 1966, 1979 અને 1991માં મંદી આવેલી છે…. તે સમયે સરકાર પાસે ફક્ત બે અઠવાડિયા ચાલે તેટલી જ આયાત કરી શકાય તેટલો વિદેશી મુદ્રા ભંડાર હતો. તેના પછી ભારતે તેનું અર્થતંત્ર ખોલવાનો નિર્ણય લીધો….


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વક્ફ બિલ શું, સરકાર તેને કેમ લાવી રહી છે?

આ પણ વાંચો: સરધાર સ્વામિનારાયણ મંદિરના નિત્યસ્વરૂપ સ્વામીનો વિવાદાસ્પદ વાઇરલ વિડીયો

આ પણ વાંચો: દીકરીઓ જ નહીં હવે દીકરાઓ પણ અસલામત