મહાત્મા ગાંધીની હસતી તસવીર એ ભારતીય કરન્સીની ઓળખ છે. પરંતુ શું તમે જાણો છો કે રૂપિયા પર ગાંધીજીની તસવીર ક્યારે અને કેવી રીતે છાપવામાં આવી? આ તસવીર ક્યાંની છે? કોણે તસવીરને લીધી છે? આઝાદીના 49 વર્ષ સુધી ભારતીય કરન્સી પર મહાત્મા ગાંધીની તસવીર કાયમી ધોરણે છપાઈ ન હતો, પરંતુ તેની જગ્યાએ અશોક સ્તંભ છાપવામાં આવ્યો હતો.
1949 સુધી નોટો પર કિંગ જ્યોર્જનો ફોટો
15 ઓગસ્ટ 1947ના રોજ દેશ આઝાદ થયો, પરંતુ બે વર્ષ બાદ પણ સ્વતંત્ર ભારતની કરન્સીમાં કોઈ ફેરફાર થયો ન હતો. 1949 સુધી નોટો પર માત્ર બ્રિટનના રાજા જ્યોર્જ (6ઠ્ઠા)ની તસવીર જ છાપવામાં આવતી હતી. 1949માં ભારત સરકાર પહેલીવાર 1 રૂપિયાની નોટની નવી ડિઝાઈન લાવી અને તેના પર કિંગ જ્યોર્જની જગ્યાએ અશોક સ્તંભ છાપવામાં આવ્યો.
1950માં સરકારે 2, 5, 10 અને 100 રૂપિયાની નોટો છાપી હતી. આ નોટો પર અશોક સ્તંભનું ચિત્ર પણ છપાયેલું હતું. પછીના કેટલાક વર્ષો સુધી, અશોક સ્તંભની સાથે ભારતીય રૂપિયા પર અલગ-અલગ ચિત્રો છાપવાનું ચાલુ રાખ્યું. ઉદાહરણ તરીકે – આર્યભટ્ટ ઉપગ્રહથી કોણાર્ક સૂર્ય મંદિર અને ખેડૂતો.
પ્રથમ વખત રૂપિયા પર ગાંધીજીની તસવીર ક્યારે છપાઈ?
વર્ષ 1969માં પ્રથમ વખત ભારતીય કરન્સી પર મહાત્મા ગાંધીની તસવીર જોવા મળી હતી. તે વર્ષે મહાત્મા ગાંધીની 100મી જન્મજયંતિ હતી અને આ પ્રસંગે એક ખાસ સિરીઝ બહાર પાડવામાં આવી હતી. આ સિરીઝની નોટોમાં મહાત્મા ગાંધીના સેવાગ્રામ આશ્રમની તસવીર છપાઈ હતી. વર્ષ 1987માં બીજી વખત 500 રૂપિયાની નોટ પર મહાત્મા ગાંધીની તસવીર છપાઈ હતી.
1996માં RBIએ ગાંધીજીની તસવીરને કાયમી સ્થાન આપ્યું
વર્ષ 1995માં રિઝર્વ બેંકે કેન્દ્ર સરકારને ચલણી નોટો પર મહાત્મા ગાંધીની તસવીર કાયમી ધોરણે છાપવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. સરકારની મંજૂરી બાદ 1996માં અશોક સ્તંભની જગ્યાએ મહાત્મા ગાંધીની તસવીર સાથેનું ચલણ છાપવાનું શરૂ થયું. જો કે, તે પછી પણ અશોક સ્તંભને નોટમાંથી સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યો ન હતો, પરંતુ તે ડાબી બાજુએ નાના કદમાં છાપવાનું ચાલુ રાખ્યું હતું. વર્ષ 2016માં, રિઝર્વ બેંકે મહાત્મા ગાંધીની તસવીરવાળી નોટોની નવી સિરીઝ લોન્ચ કરી હતી. નોટ પર મહાત્મા ગાંધીની તસવીરની સાથે બીજી બાજુ ‘સ્વચ્છ ભારત અભિયાન’નો લોગો પણ છપાયો હતો.
નોટ પર ગાંધીજીની તસવીર ક્યારે અને ક્યાંની છે?
ભારતીય રૂપિયા પર જોવા મળેલ મહાત્મા ગાંધીની તસવીર કોઈ વ્યંગચિત્ર અથવા ઈલસ્ટ્રેશન નથી, પરંતુ મૂળ ફોટામાંથી કટ આઉટ છે. આ તસવીર વર્ષ 1946માં કલકત્તા (હાલ કોલકાતા)ના વાઇસરોય હાઉસમાં લેવામાં આવ્યો હતો. ત્યારે મહાત્મા ગાંધી બ્રિટિશ નેતા લોર્ડ ફ્રેડરિક વિલિયમ પેથિક-લોરેન્સને મળવા ગયા હતા. ત્યારે આ તસવીર લેવામાં આવી છે.
આખરે ગાંધીજીની આ તસવીર કોણે લીધી હતી?
હેનરી કાર્ટિયરથી લઈને માર્ગારેટ બોર્કે વ્હાઇટ અને મેક્સ ડેસફોર સુધીના વિશ્વના ઘણા પ્રખ્યાત ફોટોગ્રાફરોએ મહાત્મા ગાંધીની તસવીરો લીધી હતી. પરંતુ રૂપિયા પર દેખાતું ગાંધીજીની તસવીર કોણે લીધી છે તે આજ સુધી સ્પષ્ટ થયું નથી. બાપુની આ તસવીર કરન્સીની માટે કોણે પસંદ કરી હતી તે અંગે પણ કોઈ સ્પષ્ટ માહિતી નથી.
આ પણ વાંચો: Lal Bahadur Shastri Jayanti/ લોકો પર લાઠીચાર્જ નહીં, વોટર કેનનના ઉપયોગના પ્રણેતા
આ પણ વાંચો: Gandhi Jayanti/ ગાંધીજીને બાપુ, રાષ્ટ્રપિતા અને મહાત્માનું બિરુદ કોણે અને શા માટે આપ્યું?
આ પણ વાંચો: Cricket/ ભારતની મહેમાનગતિના પાક. ક્રિકેટ ટીમે પેટ ભરીને વખાણ કર્યા, જુઓ વીડિયો