@સ્નેહા ધોળકિયા, કટાર લેખક
મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્લી, બંગાળ, કર્ણાટક, કેરલા, તમિલનાડુ, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ અને ભારતના બીજા કેટકેટલા રાજ્યો કોરોનાની “second wave” ની ચપેટમાં આવી ગયા છે. ઑક્ટોબર નવેમ્બર માં લાગવા માંડ્યું હતું કે કોરોનનો ખતરો હવે ટળી ગયો. હવે ધીરે ધીરે બધું ફરી પહેલાં જેવું થઈ જશે. ફરી ધામધૂમથી તહેવારો અને પ્રસંગોની ઉજવણી થશે, ફરી બાળકો શાળાએ જઈને શિક્ષણ લેશે, ફરી બાગ બગીચાઓ હસવા રમવાનાં અવાજોથી ગુંજી ઉઠશે, ફરી લોકો પોતાના કામ પર નિશ્ચિંત થઈને જઈ શકશે. પણ કોને ખબર હતી કે કોરોના નો ખતરો ક્યારેય ટળ્યો જ ન હતો. Covid-19 તો હજી ભયંકર રૂપ લઈને ફરી આપણાં સમક્ષ આવીને ઉભુ રહ્યું છે. આના કારણો ગણવા જઈએ તો ઘણાંય મતભેદ થાય. કોઈક જનતાની ભૂલ સમઝે તો કોઈક સત્તાધારીઓની. પણ ખરેખર આમાં ભૂલ કોની?
આ બધાંમાં એક બાબત સારી થઈ હોય એમ લાગે છે. ભારત દેશમાં કોમવાદ ખતમ થઈ ગયો લાગે છે. એક બીજાને કેવી રીતે ખોટાં સાબિત કરવા એ જ પ્રયત્નો રહ્યા છે ને હિન્દુ અને મુસલમાનના? પાછલાં વર્ષે જમાતીઓના કારણે આખા દેશમાં કોરોના વિસ્ફોટ થયો હતો અને આ વર્ષે કુંભ મેળામાં એકત્રિત થતાં શ્રદ્ધાળુઓના કારણે. એટલે હવે હિન્દુ મુસલમાન વચ્ચે કોઈ જંગ જ બાકી ન રહી ને? અરે જ્યારે મંદિર મસ્જિદ, ચર્ચ અને ગુરૂદ્વારા ના દરવાજાઓ બંધ છે ત્યારે કયા ઈશ્વર, કયા ખુદા લોકોની મદદ માટે આવશે? ભગવાનને પ્રાર્થના કરવીજ હોય તો ઘરે બેઠા મનમાં કરો કારણકે ઈશ્વર ત્યાં જ વસે છે. કોરોના કાળ માં તો ઈશ્વર પોતે પોતાના ઘરના દરવાજા બંધ કરીને બેઠા છે તો લોકો મંદિરોમાં જઈને, ત્યાં ભીડ એકઠી કરીને કોને પ્રાર્થના કરશે? કોઈ ઈશ્વર, કોઈ ખુદા પોતાના રચેલા સંસારના લોકોને કોઈ નુકસાન થાય એમ ઈચ્છતો નથી, તેથી વિજ્ઞાને જે ઉપાયો આપ્યા છે કોરોનના ખિલાફ યુદ્ધ લડવા માટે, એનો સંપૂર્ણ રીતે અનુસરણ કરીએ એમાંજ માનવજાતિ ની ભલાઈ છે.
ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર ગણાય છે. આ દેશમાં ચૂંટણી એક તહેવારની જેમ ઉજવવામાં આવે છે. ચૂંટણી પહેલાં પ્રચારોમાં હજારો લાખો રૂપિયાનું પાણી કરવામાં આવે છે અને ચૂંટણી જીત્યા પછી એ જીત અપાવનારી જનતાના જ પૈસા ઉડાવીને જીતની ઉજવણી કરવામાં આવે છે. શું આ જ લોકતંત્ર છે? શાળામાં તો બાળકોને ભણાવવામાં આવતું ને કે લોકતંત્ર એટલે ‘ લોકોની, લોકો દ્વારા અને લોકો માટે ‘ બનેલી સરકાર. તો લોકતંત્રને પોતાના ફાયદા માટે તોડી મરોડીને રાજકીય પક્ષો જે ધતીંગ કરે છે શું એને લોકતંત્ર કહેવાય? જ્યાં એક તરફ આખું દેશ, આખી દુનિયા એક એક શ્વાસ માટે સંઘર્ષ કરી રહી છે, ત્યારે રાજકારણીઓ રેલીઓ કરીને એ એક એક શ્વાસ લોકો પાસેથી છીનવી રહ્યા છે.
જ્યારે કોરોના પોતાના ભયાનક રૂપમાં આવી ગયું છે, જ્યારે એક થી બીજા સો ને સંક્રમણ થઈ રહ્યા છે ત્યારે શું ચૂંટણી એટલી જરૂરી છે? શું એક વરસ રાજ્યોમાં ચૂંટણીઓ ન થાય તો ન ચાલે? એક નેતાને સાથ આપવા હજારો લોકો માસ્ક વગર, સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર ફરે છે ત્યારે કોરોના નથી ફેલાતો? શ્રી બી. આર. આંબેડકરે જ્યારે સંવિધાન બનાવ્યો હતો, ત્યારે એમાં ભારતની જનતાનું હિત નિહિત હતું. જો એ સંવિધાનમાં કશ્મીરને ભારતનો અભિન્ન અંગ બનાવવા માટે બદલાવો કરી શકાય છે તો ભારતની જનતાને કોરોના જેવી ભયાનક મહામારીથી બચાવવા માટે શું એમાં સુધારા ન થઈ શકે? જ્યારે પરિસ્થિતિ સામાન્ય થાય ત્યારે પણ તો ચૂંટણી થઈ જ શકે છે ને? પણ સત્તાના લોભીઓને તો ફક્ત પોતાના પરિવાર અને ખુરશીની જ ચિંતા છે, દેશની જનતાની નહીં. આવા સંજોગોમાં મોટી મોટી રેલીઓ અને ભાષણો કરીને રાજકારણીઓ એ ભારતના લોકતંત્રને શર્મશાર કર્યું છે.
જય શ્રી રામના નારા સાથે પોતાનું રાજકીય જીવન શરૂ કરનાર ભાજપ આજે પોતાના સ્વાર્થમાં લોકોને રામ નામ સત્યના કગારે લઈ આવી છે. કોઈ ખુરશી, કોઈ સત્તા, કોઈ પરીક્ષા, કોઈ ધર્મ, કોઈ પ્રથા એક મનુષ્યના જીવ કરતાં ઉપર નથી. આ બાબત જો દેશને ચલાવનાર સત્તાધીશોના વિચારોમાં આવી જાય તો આ ભયાનક મહામારી સામેની લડત થોડી સરળ થઈ જાય.