રાલેગંણ,
અણ્ણા હઝારે દ્વારા 2011માં શરૂ કરાયેલા અનશન સમયે સમગ્ર દેશ તેમની પડખે ઉભો રહ્યો હતો. ભ્રષ્ટાચાર દૂર કરવાની સાથે લોકપાલ વિધેયકની માંગ સાથે તેમણે શરૂ કરેલા અનશન દરમ્યાન સામાન્યજણ તેમની સાથે ઉભો રહ્યો હતો. જોકે તાજેતરમાં શરૂ કરેલા તેમના અનશન દરમ્યાન ગણતરીના માણસો તેમની સાથે અને તેમાં પણ ખાસ કરીને તેમના ગામના લોકો જ તેમની સાથે અનશન દરમ્યાન જોડાયા હતા. જોઈએ તેવું સમર્થન જોવા મળ્યું નહોતું.
દેશમાં ભ્રષ્ટાચાર ખતમ કરવા અને જન લોકપાલ બિલ માટે વર્ષ 2011માં એક પીઢ સમાજસેવકે આંદોલન શરૂ કર્યું અને જોત જોતામાં આખો દેશ આ બુઝુર્ગની સાથે જોડાઈ ગયો હતો. લોકોમાં આ વડીલ એટલે કે અણ્ણા હઝારે નવા ગાંધીના રૂપે ઉભરી આવ્યા અને ગણતરીના દિવસોમાં જ ભ્રષ્ટાચારના વિરોધમાં દેશવ્યાપી અભિયાનનું રૂપ બદલાઈ ગયું હતું. યુવાઓ, બાળકો, મહિલાઓ અને વૃદ્ધો હરકોઈ અણ્ણાની સાથે ઉભો હતો. તેઓ જ્યાં અનશન પર બેઠા હતા તે ગાંધી મેદાન જનમેદનીથી ઉભરાઈ ગયું હતું.
તાજેતરમાં પણ અણ્ણા ફરી પોતાની એ જ માંગણીઓને લઇને પોતાના વતન રાલેગણ સિદ્ધિમાં અનશન પર ઉતર્યા હતા. જોકે આ વખતના તેમના આમરણ ઉપવાસ સમયે તેમને જનસમર્થન જોઇએ તેવો મળ્યો નહીં. કોઈ મોટા નેતાઓ તો ઠીક તેમના ગામના પણ ગણતરીના લોકો જ સાથ આપવા પહોંચ્યા હતા. તેમના સમર્થકોમાં 2011 જેવો ઉત્સાહ ના જોવા મળ્યો.
રાલેગણ સિદ્ધિમાં અણ્ણા હઝારે લોકપાલની નિયુક્તિ, રાજ્યોમાં લોકાયુક્ત કાયદામાં ફેરફાર અને ખેડૂતોને તેમના પાક માટે યોગ્ય રકમ મળે તે માટે સાત દિવસથી આમરણ ઉપવાસ પર બેઠા હતા. આખરે મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસના સમજાવવા પર તેમણે મંગળવારે પોતાના આમરણ ઉપવાસ તોડ્યા હતા.
2011માં તેમની સાથે રહેલા કિરણ બેદી કે અરવિંદ કેજરીવાલ વગેરે સહિતના કોઈએ પણ તેમના સમર્થનમાં એક વાક્ય પણ બોલ્યા નહોતા.