બાળકને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે ત્યારે રાજ્યમાં તાજેતરમાં કેટલાક માસુમ જવલ્લે જોવા મળતી હોય તેવી વિચિત્ર અને મોંઘી બીમારીનો શિકાર બન્યા છે.ત્રણ મહિનાના માસુમ ધૈર્યરાજ સિંહને બચાવવા હવે સેલિબ્રિટી પણ મેદાનમાં આવી રહ્યા છે.જન્મની સાથે જ જીંદગી સામે ઝઝૂમતા બાળકો ના ચહેરા પરની માસુમિયત જોઈને ભલભલા લોકોનું હૃદય પીગળી જાય છે ત્યારે આ બાબતમાં સેલિબ્રિટી પણ પાછળ રહેતા નથી. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રિવાબા જાડેજા પણ મેદાનમાં આવ્યા છે. રીવાબા જાડેજાએ પોતાના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પર ધૈર્યરાજ સિંહને લગતી એક પોસ્ટ મૂકી છે. જેમાં રિવાબા જાડેજાએ લખ્યું છે કે માનવતા માટે હું આપ સૌને વિનંતી કરું છું કે, આપ ડોનેશન માટે એક પગલું ઉપાડો. આપના થી શક્ય તેટલી મદદ કરો જેથી આપણે કોઈકની મહામૂલી જીંદગી બચાવી શકીએ.
આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે રિવાબા દ્વારા ફેસબુકના માધ્યમથી કરવામાં આવેલ અપીલ બાદ ગણતરીની કલાકોમાં હજારોની સંખ્યામાં તેમની ફેસબુક પોસ્ટને ઘણી લાઈક મળી છે. તો સાથે સાથે કોમેન્ટ અને શેર પણ થઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે ધૈર્યરાજ સિંહ માટે અત્યાર સુધીમાં 6.22 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર થયું છે.ધૈર્યરાજ સિંહ રાઠોડને બચાવવા માટે અત્યાર સુધીમાં જુદા જુદા સમાજના લોકો આગળ આવ્યા છે. ફૂલ નહીં પરંતુ ફૂલની પાંખડી પણ ત્રણ મહિનાના માસુમ બાળકને બચાવવા માટે અર્પણ કરી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેર ખાતે પણ કરણી સેના બાળક માટે ભંડોળ એકત્ર કરવા માટે જુદા જુદા સિગ્નલ પર ડોનેશન બોક્સ સાથે જોવા મળી રહી છે. બીજી તરફ લોકોનો પણ કરણી સેનાને સપોર્ટ મળી રહ્યો છે.
બાળકોની નિર્દોષતા જ તેના પ્રત્યે લાગણી ઉપજાવે છે ત્યારે આવી અઘરી બીમારી સાથે જન્મેલા ત્રણ મહિનાના માસુમ બાળક ધૈર્યરાજ સિંહ રાઠોડને બચાવવા રીબડાના રાજદીપ સિંહ જાડેજા પણ માટે અપીલ કરી ચૂક્યાં છે. 8મી માર્ચના રોજ ધૈર્યરાજ સિંહ રાઠોડના માતા-પિતા તેમના પુત્રને લઈ રાજદીપ સિંહ રીબડાને ત્યાં મળવા ગયા હતા. આ સમયે રાજદીપ સિંહ દ્વારા ધૈર્ય રાજસિંહને મદદની અપીલ કરતો હોય તે પ્રકારનો એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો હતો.