ગુજરાત વિધાનસભાને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે રાજ્યમાં પ્રચારનો દૈાર ચાલી રહ્યો છે. રાજયની બાગડોર પ્રધાનસેવક નરેન્દ્ર મોદીએ હાથમાં લેતા વિરોધ પાર્ટીઓમાં ભારે ચિંતા વધી ગઇ છે. આજેપણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અકબંધ છે. ગઇકાલથી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે તેમણે 4 સભા સંબોધી હતી. આજે પણ 4 સભાઓ સંભોધવાના છે. જેમા પહેલા પાલનપુરમાં તેમણે સિંહ ગર્જનાની જેમ સભા સંબોધી છે. તેમણે કહ્યું કે, હમણા બનાસકાંઠા આવવાનું ઘણું થયું. અંબાજી આવવાનું થયું. થરાદ આવ્યો, ડીસામાં વર્ચ્યુઅલ કાર્યક્રમ કર્યો. એટલે મને ખબર પડી કે આ વખતે વાતાવરણ વાવાઝોડાનું છે.
PM મોદીએ કહ્યું કે આજે પાલનપુર આવ્યો છું ત્યારે મારું ધ્યાન પાંચ પ ઉપર જાય છે. પર્યટન, પર્યાવરણ, પાણી, પશુધન અને પોષણ. હું વિકસિત ગુજરાતની વાત કરવા આવ્યો છું ત્યારે આ પાંચ મુદ્દા જે ક્યારેય ચૂંટણીની ચર્ચામાં આવ્યા જ નહીં હોય. મારા દિલમાં મારા બનાસકાંઠા અને મારા ગુજરાત માટે,આ ભારત માટે કેવો સીધી રેખાનો રોડમેપ પડેલો છે. તે તમારા ધ્યાનમાં આવશે. આપણા સંતાનો અને ખાસ કરીને દીકરીઓના પોષણ માટે મોટી જવાબદારી ઉપાડી છે. આપણી 12-14 વર્ષની દીકરી મોટી થાય પણ તેનો શારિરિક વિકાસ ન થાય તો તે જ્યારે માતા બને ત્યારે તેના જે સંતાનો પેદા થાય તે માંદલા પેદા થાય. તેની આખી જિંદગી તેની સેવા કરવામાં નીકળી જાય. તેમની જિંદગી આવી ન થાય એ માટે મારી 12-15 વર્ષની દીકરીના શરીર અને લોહીની તપાસ કરાવીને એમનામાં જે ઉણપ છે તેની પૂર્તિ કરવા માટે કેવી ગોળી અને આહાર આપવો તેની ચિંતા કરી અને આપણી દીકરીઓ સ્વસ્થ થાય તે માટે અભિયાન ઉપાડ્યું છે.
આપણે જે લાભ ખેડૂતને મળે છે તે લાભ પશુપાલકને પણ મળે. ગુજરાતમાં પશુઓના આરોગ્ય માટે અભિયાન ચલાવ્યા છે. આપણા પશુધનને સમૃદ્ધ બનાવવા માટે ગર્ભાધાનથી માંડીને આધુનિક ટેક્નોલોજી લાવીને કામ કરી રહ્યાં છીએ. પશુના જીવનને બચાવી શકાય. પ્રતિ પશુ કેવી રીતે દૂધ ઉત્પાદન વધે તેના પર કામ કરી રહ્યાં છીએ
તેમણે જણાવ્યું કે, પાણી માટે ઉત્તર ગુજરાત વલખા મારતું હતું. સુજલામ સુફલામની યોજના લઇને આવ્યો ત્યારે બધા મજાક ઉડાડતા હતા. પણ આજે સુજલામ-સુફલામ યોજના આવી ગઇ. મા નર્મદા ઘરે ઘરે પાણી પહોંચાડી રહી છે. આજે લોકોને પાણી પહોંચાડવા માટે ભરપૂર કોશિશ ચાલી રહી છે. આવનારા દિવસોમાં પણ જેમ પાણી તળ ઉંચા આવવામાં સફળતા મળી રહી છે. પાણીના તળ ઉપર આવશે તો લીલોતરીની સંભાવના વધશે અને લીલોતરીથી વરસાદની સંભાવના વધી છે. આખી પાણીની સમસ્યાના સમાધાન માટે કામ ચાલી રહ્યુ છે.પહેલા મારી દીકરીઓને માથે બેડલા લઇને પાંચ કિ.મી. જવું પડતું હતું પરંતુ તેમાંથી મુક્તિ અપાવી છે. પાણીથી આખા ગુજરાતને શક્તિ મળે તે દિશામાં કામ ચાલી રહ્યું છે.
તેમણે કહ્યું કે, આખી દુનિયામાં પર્યાવરણની અંદર ભારત પોતાનું નામ રોશન કરી રહ્યું છે. જે ભારત દુનિયાના પર્યાવરણને બગાડશે એવી વાતો થતી હતી તેને બદલવાની દિશામાં આપણે સફળતા પૂર્વક આગળ વધી રહ્યાં છીએ. રાધનપુર પાસે સોલારપાર્ક બનાવ્યું ત્યારે બધાને આશ્ચર્ય થતું હતું પણ અત્યારે હવે બધા તેને જોવા આવે છે. આ આપણું ગુજરાત ગ્રીન હાઇડ્રોજનનું હબ બનવાનું છે. ગ્રીન હાઈડ્રોજન પેદા કરવા માટે સોલાર એનર્જીનું મોટું અભિયાન ઉભુ કરવા જઇ રહ્યાં છીએ. જે ગાડીઓ પેટ્રોલ ડીઝલથી ચાલે છે તે ગ્રીન હાઈડ્રોજનથી ચાલતી થશે તેના પર કામ ચાલી રહ્યું છે.
વિશ્વમાં પર્યટન ઉદ્યોગ ખૂબ તેજ ગતિથી ફલતો ફુલતો ઉદ્યોગ છે. દુનિયા એટલી નાની થઇ ગઇ છે. લોકો એક છેડેથી બીજા છેડે જવા ઉતાવળા થયા છે. કોરોનાના કારણે બધુ અટકી ગયું અને હવે જબરદસ્ત તેનો ઉફાળ આવ્યો છે. બદરીનાથ, કેદારનાથ, અમરનાથ લાખો લોકો આવે છે. આ બધુ આપણા ગુજરાતમાં થાય છે. બનાસકાંઠાની અંદર ઉત્તર ગુજરાતમાં જ્યાં આટલું સરસ રણને તોરણ બનાવી દીધું. વિકાસની ઘણી સંભાવના છે. 2004માં પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દૂલ કલામ આવ્યા હતા. ત્યારે તેમણે સરસ માર્ગદર્શન આપ્યું હતું.