રાજકારણ હમેંશા ચેકમેટ ઉપર જ રમાય છે. કોઇપણ વ્યકિત પ્રથમથી જ કોઇપણ વિચારધારાની સાથે પ્રગાઢ રીતે જોડાયેલો હોય અને તે જ વિચારધારાની સાથે છેદ કરે તો? બસ, અહીં થોડી વાત આપણે આવી જ કરીશું. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની… લગભગ ૪૦ વર્ષ સુધી તેમણે ભારતીય જનસંઘ અને પછી ભારતીય જનતા પક્ષમાં એક અદકેરૂ સ્થાન પ્રસ્થાપિત કર્યુ. અટલબિહારી વાજપાઇ, એલ.કે. અડવાણી સહીતના ભાજપના દિગ્ગજ નેતાઓ અને નરેન્દ્ર મોદી સાથે ખભેખભા મીલાવીને કામ કરનાર શંકરસિંહ વાઘેલા આજે પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે મથામણ કરી રહયાં છે. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ-૨૦૨૨માં એક નવા જ રાજકીય પક્ષ સાથે ઉતરવા માટેની તૈયારીમાં પડી ગયા છે.
બીજી તરફ, ગુલાબનબી આઝાદ જેવા ૪૦ વર્ષોથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડાયેલા ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, પી.વી નરસિંહરાવ જેવા વડાપ્રધાનો સાથે કામ કરી ચૂકેલા ગુલાબનબી આઝાદે તાજેતરમાં જ કોંગ્રેસને રામરામ કરી દીધા.. હવે, તેઓને ભાજપ સાથે જોડાશો તેવા પ્રશ્નો પુછાઇ રહ્યા છે ત્યારે તેઓ નનૈયો ભણે છે. જમ્મુ-કાશ્મીરમાં પ્રાદેશિક પક્ષ સ્થાપવાનો તેમણે સંકેત આપ્યો છે પણ સમય જ કહેશે કે તેઓ સફળ થશે કે કેમ? ગુલાબનબી આઝાદ પર ઘણા કોંગ્રેસીઓ આક્ષેપો કરી રહયાં છે તેઓને ભાજપના માણસ ગણાવી રહ્યા છે તો સામે પક્ષે ગુલાબનબી આઝાદે પણ એક કોંગ્રેસી અને તેમા પણ જમ્મુ કાશ્મીરના વતની કઇ રીતે ભાજપમાં જોડાઇ શકે તેવો સામે સવાલ ઉઠાવી રહ્યા છે.
અહીં ગુલાબનબી આઝાદ અને શંકરસિંહ વાઘેલા જેવા પોતાના માતૃપક્ષને વટવૃક્ષ બનાવવામાં સિંહફાળો આપનારા નેતાઓ પક્ષની વિચારધારાને રામરામ કરે તો તેમનું રાજકીય અસ્તિત્વ ટકાવવામાં કેટલા સફળ થાય તે તો સમય જ બતાવશે. ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે, કોઇપણ રાજકીય વ્યકિત કે જે પોતાના પક્ષની વિચારધારાને સમર્પિત થયો હોય તે પક્ષને છોડે તો તે જનમાનસમાં પોતાનું સ્થાન અલાયદું બનાવી શકતો નથી કે તે પોતાની લોકપ્રિયતાને હાંસલ કરી શકતો નથી અથવા તો તે સત્તા ઉપર આવે છે તો પણ તે સત્તા ઉપર લાંબો સમય ટકી શકતો નથી. (એકાદ અપવાદ ને બાદ કરતાં.)ગુલાબનબી આઝાદ અને શંકરસિંહ વાધેલા જેવા નેતાઓએ રાજનીતિમાં પોતાનું સ્થાન, ઓળખ પ્રસ્થાપિત કરી છે તે તેમની મૂળ પક્ષની વિચારધારાને આભારી છે એમ કહી શકાય.
એ પણ હકીકત છે કે, પક્ષની સાથે વર્ષો સુધી જોડાયેલા રહ્યા બાદ કોઇક કારણોસર બળવો પોકારીને પક્ષ છોડનારને સામાન્યતઃ લોકો સ્વીકારતા નથી. શંકરસિંહ વાઘેલા અને ગુલાબનબી આઝાદ જેવા દિગ્ગજ નેતાઓએ વર્ષો સુધી પક્ષની વિચારધારાએ સમર્થન આપ્યુ અને તેનો વ્યાપક પ્રચાર-પ્રસાર કર્યો. જો આ બન્ને નેતાઓ ભેગા મળે તો? આમ તો બન્ને કોંગ્રેસ અને ભાજપ સાથે જોડાયેલા નેતાઓ છે અને શંકર સિંહ વાઘેલા તો કોંગ્રેસમાં પણ મોભાનું સ્થાન શોભાવી ચૂક્યા છે. અને 2017 નું વિધાનસભા ચૂંટણી પહેલા જ તેમને કોંગ્રેસને ટાટા બાય-બાય કર્યા હતા. પણ રાજકારણમાં કહી ના શકાય… આ બન્ને નેતાઓ પાકટ અને અનુભવી છે. જનસંપર્કની મજબૂત કડી બન્ને નેતાઓ પાસે છે જો ભેગા મળે તો રાષ્ટ્રને અનુભવી નેતાગીરી મળી શકે તેમાં બેમત નથી.
શુ શકય છે? શંકરસિંહ વાઘેલા અને ગુલાબનબી આઝાદ ભેગા થાય? રાષ્ટ્રને પાકટ અને અનુભવી નેતાગીરી અવશ્ય મળે
17 માર્ચ2022ના રોજ જી 23 નેતાઓની બેઠક મળી હતી. આ બેઠક ગુલામનબી આઝાદ ના ઘરે મળી હતી અને જેમાં કોંગ્રેસના નારાજ નેતાઓ મળી અને ચર્ચા કરી હતી. જોકે આ બેઠકની અંદર કોંગ્રેસમાંથી વર્ષ 2017 માં છુટા પડેલા દિગ્ગજ કોંગી નેતા શંકરસિંહ વાઘેલાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેમણે પણ આ બેઠકમાં ભાગ લીધો હતો અને બેઠક પૂરી થયા બાદ તેમણે ગુલામનબી આઝાદ સાથે મુલાકાત પણ કરી હતી અને ત્યારથી જ ગુલામનબી આઝાદ અને શંકરસિંહ વચ્ચે કંઈક રંધાયા ની વાતો પણ માર્કેટમાં આવી હતી. જોકે એ પછી શંકરસિંહ કોંગ્રેસમાં જોડાયા ની વાતો પણ વીતી થઈ હતી. અને આ મુલાકાત બાદ શંકર સિંહે સ્પષ્ટ કહ્યું હતું કે, આ પરિસ્થિતી માટે માત્ર કોંગ્રેસ જ જવાબદાર છે. જો કે હવે ગુલામનબી આઝાદે કોંગ્રેસને ટાટા બાય બાય કરતા અને નવી પાર્ટીની જાહેરાત કરતા બંને નેતાઓ ફરી એક વખત ભેગા મળી રાજકારણમાં કંઈક નવાજૂની કરે તેમાં કોઈ બે મત નથી. તો વળી ગુજરાતમાં ચૂંટણી નજીક છે અને શંકરસિંહ વાઘેલા ફરી રાજકીય રીતે સક્રિય થયા છે. અને તેમણે પણ ગુજરાતની તમામ બેઠકો ઉપર પોતાના ઉમેદવાર ઊભા રાખવાની જાહેરાત કરી છે.