ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનીઝ પીએમ શિન્જો આબેને આવકારવા માટે અમદાવાદ આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે દોઢ વાગે દિલ્હીથી અમદાવાદ આવી રહ્યા છે. જ્યારે જાપાની પીએમ તેમના ધર્મપત્ની એકી આબે તથા ડેલિગેશન સાથે બપોરે ૩-૩૦ વાગે સીધા ટોકિયોથી અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથકે ઉતરાણ કરશે. જ્યાં પીએમ મોદી જાપાનીઝ પીએમનું સ્વાગત કરશે.
બંને રાષ્ટ્રપ્રમુખને આવકારવા માટે અમદાવાદને દુલ્હનની જેમ સજ્જ કરવામાં આવ્યું છે. એરપોર્ટથી ગાંધી આશ્રમ, ત્યાંથી વસ્ત્રાપુર, વસ્ત્રાપુરથી એસપી રિંગ રોડ થઈને ગાંધીનગર મહાત્મા મંદિર, સાબરમતી સ્ટેશન સુધીના માર્ગો પરની સ્વચ્છતા, તેનું સુશોભન કરી શણગારવામાં આવ્યું છે. ત્યારે દરેક શહેરવાસી પૂર્વની સમૃદ્ધ પરંપરાઓ ધરાવતા અને સૂર્યનું પહેલું કિરણ જ્યાં પડતું હોવાનું મનાય છે તેવા જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબેને ‘ભલે પધાર્યા’ કહેવા થનગની રહ્યો છે!
અમદાવાદ અને ભારત પીએમ આબેને આવકારવા તૈયાર છે : પીએમ મોદી ટ્વીટ
પીએમ મોદીએ ટ્વીટ દ્વારા જણાવ્યું, ”અમદાવાદ અને ભારત વડા પ્રધાન શિન્ઝો આબેને આવકારવા તૈયાર છે. જાપાન સાથેના સંબંધોની ભારત દિલથી કદર કરે છે અને વ્યાપક ક્ષેત્રોમાં દ્વિપક્ષી સંબંધો વધુ ગાઢ બનાવવા ભારત આતુર છે. PM શિન્ઝો આબે સાથે સાબરમતી આશ્રમ અને સિદી સૈયદની જાળીની મુલાકાત લેવા હું તત્પર છું. અમે અમદાવાદ અને મુંબઈ વચ્ચેના દેશના સર્વપ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામનો આરંભ કરાવવાના કાર્યક્રમમાં ભાગ લઈશું. વડા પ્રધાન શિન્ઝો આબેને આવકારવા હું આતુર છું. ચોથી વાર્ષિક પરિષદમાં ગુજરાતમાં તેમના યજમાન બનવાને હું મારં સૌભાગ્ય ગણુ છું”.