કોરોના રોગચાળાને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વનાં અર્થતંત્રને મોટું નુકસાન થયું છે. કોવિડ 19 ને કારણે કરોડો લોકો બેકાર બની ગયા છે. ઓલ ઇન્ડિયા મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે અનુસાર દેશમાં સ્વ-રોજગાર લઘુ અને મધ્યમ સ્કેલનાં એક તૃતીયાંશ કરતા વધારે ઉદ્યોગોને રિકવરી માટે કોઈ આધાર દેખાતો નથી. આ ઉદ્યોગો બંધની આરે પહોંચ્યા છે. ઓલ ઈન્ડિયા મેન્યુફેક્ચર્સ એસોસિએશને આ સર્વે અન્ય નવ ઉદ્યોગ સંસ્થાઓનાં સહયોગથી કરાવ્યો છે.
આ સર્વેમાં ઓલ ઇન્ડિયા મેન્યુફેક્ચર્સ એસોસિએશને માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, સ્વ રોજગારી, કોર્પોરેટ સીઈઓ અને કર્મચારીઓની 46,000 પ્રતિક્રિયાઓનો સમાવેશ કર્યો છે. સર્વે 24 મે થી 30 મે દરમિયાન ઓનલાઇન કરવામાં આવ્યો હતો. જે અનુસાર, એમએસએમઇનાં 35 ટકા અને સ્વ-રોજગાર ધરાવતા 37 ટકા લોકોએ કહ્યું કે તેમનો ઉદ્યોગ પાટા પર પાછો મેળવવો હવે ખૂબ મુશ્કેલ છે. એમએસએમઇનાં 32 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેમના ઉદ્યોગોને પાટા પર લાવવામાં છ મહિનાથી વધુ સમય લાગશે. જ્યારે માત્ર 12 ટકા લોકોએ કહ્યું હતું કે ત્રણ મહિનાથી ઓછા સમયમાં તેમના ઉદ્યોગની સ્થિતિને ફરીથી સ્થાપિત કરવામાં આવશે. સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે, ત્રણ મહિનામાં પુન રિકવરીની અપેક્ષા રાખતા કોર્પોરેટ સીઇઓનાં પ્રતિક્રિયાઓમાં વ્યવસાયો માટેની ધારણા વધુ આશાવાદી છે.
એઆઇએમઓ નાં ભૂતપૂર્વ અધ્યક્ષ, કેઈ રઘુનાથને કહ્યું હતું કે, ઉદ્યોગમાં કામગીરીનો અભાવ, ભવિષ્ય વિશેની અનિશ્ચિતતા એ નાના અને મધ્યમ ઉદ્યોગોને લગતા મુખ્ય પરિબળોમાંનું એક છે. પરંતુ ઉદ્યોગો બંધ થવાનું કારણ સંપૂર્ણપણે કોરોના રોગચાળો હોઈ શકે નહીં. ઉદ્યોગો પહેલેથી જ વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. નોટબંધી હોય કે જીએસટી, છેલ્લા ત્રણ વર્ષમાં અર્થવ્યવસ્થામાં આવેલી મંદીનાં કારણે ઉદ્યોગોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. પરંતુ આ ઉદ્યોગો માટે કોરોના રોગચાળો સૌથી ખરાબ સાબિત થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.